મુંબઈઃ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીનો મુસ્દ્ર કિનારે આવેલ બંગલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવ્યો છે. રાયગઢ જિલ્લાના કલેક્ટર વિજય સૂર્યવંશીએ કહ્યું કે, આ એક નિયંત્રિત વિસ્ફોટ હતો. વરિષ્ઠ આઈએએસ અધિકારીએ બંગલો તોડા પાડવાનો આદેશ આપ્યો હતો. નીરવ મોદીનો આ આ બંગલો 30 હજાર ચોરસ ફૂટમાં વિસ્તરેલો અને ઇટાલિયન માર્બલથી મઢેલો હતો. બંગલામાં રહેલા કાચનાં બારીબારણાને કારણે એને ધરાશાયી કરવાની કામગીરી મોકૂફ રહી હતી.


વિસ્ફોટના પગલે કાચના ટુકડા આસપાસના બંગલાઓને નુકસાન પહોંચાડી શકે એમ હોવાથી બે દિવસ પહેલા વિસ્ફટકો દ્વારા એને ઊડાવવાની કામગીરી મોકૂફ રખાઇ હતી. આ બંગલો ગેરકાયદે હોવાનું જણાવીને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર મુંબઇ હાઇકોર્ટ પાસેથી આ બંગલો તોડવાની પરવાનગી મેળવી લીધી હતી.


સમુદ્ર કિનારા નજીકના વિસ્તારોમાં અમુક અંતર રાખીને બાંધકામ કરવાના નિયમનો છડેચોક ભંગ કરીને અહીં બીજા પણ કેટલાક બંગલા બનાવવામાં આવ્યા હતા. એ તમામ બંગલાઓને રાજ્ય સરકારે નોટિસ આપી હતી અને શા માટે આ બંગલા ન તોડી પાડવા એવો સવાલ કર્યો હતો. મુંબઇ હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો કે અલીબાગ બીચ નજીક બંધાયેલા ગેરકાયદે બંગલાઓ માટે તમે શી કાર્યવાહી કરી છે એનો હિસાબ આપો. એના જવાબમાં રાજ્ય સરકારે આ માહિતી આપી હતી.