2000 Rupees Note: હવે તમારા ખાતામાં રૂ. 2,000ની નોટ જમા કરાવવા માટે RBI ઓફિસમાં જવાની જરૂર નહીં પડે. કોઈપણ વ્યક્તિ દેશની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા RBIની ઈશ્યુ ઓફિસને રૂ. 2,000ની નોટ મોકલી શકે છે અને તેને પોતાના ખાતામાં જમા કરાવી શકે છે.


સેન્ટ્રલ બેંકે નોટો બદલવામાં આવી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. બીજી તરફ, ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી રૂ. 2,000 મૂલ્યની 97 ટકાથી વધુ નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી છે. હવે લોકો પાસે માત્ર 10,000 કરોડ રૂપિયાની નોટો જ બચી છે. આરબીઆઈએ આ વર્ષે 19 મેના રોજ 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.


લોકોને આ નોટો બેંકોમાં જમા કરાવવાની અને અન્ય મૂલ્યોની નોટો સાથે બદલવાની સુવિધા આપવામાં આવી હતી. આવી નોટો ધરાવનાર જાહેર જનતા અને સંસ્થાઓને શરૂઆતમાં 30 સપ્ટેમ્બર સુધીમાં તેને બદલી આપવા અથવા બેંક ખાતામાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાં આ સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી.


બેંક શાખાઓમાં જમા અને વિનિમય સેવાઓ બંને 7 ઓક્ટોબરના રોજ બંધ કરી દેવામાં આવી હતી. 8 ઑક્ટોબરથી, વ્યક્તિઓને RBIની 19 ઑફિસમાં ચલણ એક્સચેન્જ કરવાનો અથવા તેમના બેંક ખાતામાં સમકક્ષ રકમ જમા કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.


જો કે, હવે આ નોટો બેંકોમાં જમા કરાવી શકાશે નહીં પરંતુ રિઝર્વ બેંકની 19 ઓફિસોમાં રૂ. 2,000ની નોટ જમા કે બદલી શકાશે. દરમિયાન, RBI ઓફિસમાં કામકાજના કલાકો દરમિયાન રૂ. 2,000ની નોટો બદલવા અથવા જમા કરાવવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. RBI એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટ હજુ પણ માન્ય ગણવામાં આવશે.


RBIએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે 2,000 રૂપિયાની નોટ લીગ ટેન્ડર રહેશે. નોંધનીય છે કે 19 મે 2023ના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જાહેરાત કરતી વખતે, આરબીઆઈએ કહ્યું હતું કે ક્લીન નોટ પોલિસી હેઠળ, આરબીઆઈએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. જો 2000 રૂપિયાની નોટ હવે ચલણમાં ન હોય તો પણ 2000 રૂપિયાની નોટ કાયદેસર રીતે માન્ય રહેશે.