જો તમે ખાનગી ક્ષેત્રમાં કામ કરો છો, તો પ્રોવિડન્ટ ફંડ (PF) તમારા ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ બચત યોજના છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આ ખાતાનું સંચાલન કરે છે. નિયમ મુજબ, તમારા મૂળ પગારના 12% અને એટલી જ રકમ તમારી કંપની દ્વારા દર મહિને તમારા PF ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ રકમ તમારા ભવિષ્ય માટે સુરક્ષિત રહે છે અને તેના પર વ્યાજ પણ મળે છે. પરંતુ, શું તમારી કંપની નિયમિત રીતે તમારા ખાતામાં પૈસા જમા કરાવી રહી છે કે નહીં, તે જાણવું જરૂરી છે. હવે તમે કેટલીક સરળ રીતોથી તમારા PF ખાતાનું બેલેન્સ જાણી શકો છો અને ખાતરી કરી શકો છો કે કંપની નિયમિત યોગદાન આપી રહી છે કે નહીં.


SMS દ્વારા PF બેલેન્સ તપાસો


EPFO સભ્યો માટે SMS દ્વારા બેલેન્સ જાણવાની સુવિધા ઉપલબ્ધ છે. તમારે ફક્ત તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 7738299899 પર SMS મોકલવાનો રહેશે. SMS માં તમારે "EPFOHO UAN ENG" ટાઈપ કરવાનું રહેશે. અહીં "ENG" અંગ્રેજી ભાષા માટે છે. જો તમારે ગુજરાતીમાં માહિતી જોઈતી હોય તો "GUJ" અને હિન્દી માટે "HIN" ટાઈપ કરો. મેસેજ મોકલ્યા પછી, તમને તમારા PF બેલેન્સ અને છેલ્લું યોગદાનની વિગત SMS દ્વારા મળી જશે.


UMANG એપથી PF બેલેન્સ તપાસો


ટેક્નોલોજીના આ યુગમાં, UMANG એપ તમારા માટે એક ઉત્તમ વિકલ્પ છે. તમારા સ્માર્ટફોનમાં UMANG એપ ડાઉનલોડ કરો અને તેના દ્વારા તમે સરળતાથી તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો. આ એપ પર તમે PF પાસબુક જોઈ શકો છો, ઓનલાઈન ક્લેમ કરી શકો છો અને ક્લેમનું સ્ટેટસ પણ ટ્રેક કરી શકો છો. એપમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખીને એક વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.


મિસ્ડ કોલથી PF બેલેન્સ તપાસો


જો તમારો મોબાઈલ નંબર તમારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથે રજીસ્ટર્ડ છે, તો તમે ફક્ત એક મિસ્ડ કોલ કરીને PF બેલેન્સ જાણી શકો છો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9966044425 પર મિસ્ડ કોલ કરો. મિસ્ડ કોલ કર્યા પછી, EPFO તરફથી તમને એક SMS મળશે, જેમાં તમારા PF ખાતાનું બેલેન્સ દર્શાવવામાં આવશે.


EPFO પોર્ટલ દ્વારા PF બેલેન્સ તપાસો


ઓનલાઈન પોર્ટલ દ્વારા PF બેલેન્સ જાણવું પણ ખૂબ જ સરળ છે. EPFOના પોર્ટલ પર જવા માટે https://www.epfindia.gov.in વેબસાઈટ ખોલો. વેબસાઈટ પર "કર્મચારીઓ માટે" વિભાગમાં જાઓ અને "મેમ્બર પાસબુક" પર ક્લિક કરો. ત્યારબાદ તમારો UAN અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરો. લોગિન કર્યા પછી તમે તમારી PF પાસબુક જોઈ શકશો, જેમાં જમા અને ઉપાડની તમામ વિગતો, કર્મચારી અને કંપનીનું યોગદાન અને વ્યાજની રકમ જેવી માહિતી ઉપલબ્ધ હશે.


PF બેલેન્સ નિયમિત રીતે તપાસવું કેમ જરૂરી છે?


તમારા PF ખાતાનું બેલેન્સ નિયમિત રીતે તપાસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી તમને ખબર રહે છે કે કંપની તમારા ખાતામાં નિયમિત રીતે પૈસા જમા કરાવી રહી છે કે નહીં. જો તમને કોઈ ગેરરીતિ જણાય, તો તમે તરત જ કંપની અથવા EPFOનો સંપર્ક કરીને સમસ્યાનું નિવારણ લાવી શકો છો. આ ઉપરાંત, નિયમિત ચેકિંગથી તમે તમારા ભવિષ્ય માટેની બચત પર નજર રાખી શકો છો અને યોગ્ય નાણાકીય આયોજન કરી શકો છો.


આ સરળ રીતોનો ઉપયોગ કરીને, તમે પળવારમાં જાણી શકો છો કે તમારી કંપની તમારા PF ખાતામાં પૈસા જમા કરાવી રહી છે કે નહીં. તો આજે જ તમારા PF બેલેન્સ તપાસો અને તમારા ભવિષ્યને સુરક્ષિત કરો!


આ પણ વાંચો...


વ્યાજ દરમાં ઘટાડા બાદ હવે ₹50 લાખની લોન પર દર મહિને કેટલો હપ્તો ઘટી જશે, જાણો નવી EMI ગણતરી