નવી દિલ્હીઃ કોરોના મહામારીને કારણે આર્થિક મંદીનો સામનો કરી રહેલ ગરીબ અને મધ્યમવર્ગને મોટો ફટકો પડ્યો છે. સ્થિતિ એ છે કે લોકો માટે દાલ રોટી પણ ખરીદવી મુશ્કેલ થઈ ગયું છે. બજારમાં માગની સામે પુરવઠો ઓછો રહેતા તુવેર દાળ સહિતના મોટાભાગના કઠોળના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં 1 કિલોગ્રામ તુવેરનો ભાવ 100 પ્રતિ કિલોથી વધીને 125 રૂપિયાએ પહોંચી ગયો છે.


વેપારીઓનું માનવું છે કે, જ્યાં સુધી સરાકર પોતાની પાસે રાખેલ સ્ટોક બજારમાં નહીં વેચે ત્યાં સુધી ભાવ નીચા જવાની શક્યતા ઓછી છે. દાળ મિલોનું કહેવું છે બજારમાં માગની સામે પુરવઠો ઓછો હોવાને કારણે ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે 13 ઓક્ટોબરના રોજ તુવેરની આયાતને મંજૂરી આપી છે જે 15 નવેમ્બર સુધી ભારત લાવવાની રહેશે. જ્યારે અડધની આયાતને પણ 31 માર્ચ સુધી મંજૂરી આપવામાં આવી છે.

વેપારીઓનું કહેવું છે કે થોડા સમય બાદ દેશમાં પણ નવી તુવેરની આવક શરૂ થશે અને આ વખતે બમ્બર ઉત્પાદન થાની ધારણા છે. સરકારે તુવેર આયાયતનો ક્વોટા એપ્રિલમાં જાહેર કરવો જોઈતો હતો જે હવે જાહેર કરવામાં આવ્યો છે.

જોકે વેપારીઓનું માનવું છે કે, આયાત ક્વોટ ઘણાં ઓછો હોવાથી ભાવમાં કોઈ વધારે નીચે જવાની સંભાવના નથી. બીજી બાજુ ભારત દ્વારા તુવેરની આયાતને મંજૂરી આપ્યા બાદ તરત જ મ્યાનમારમાં તેના ભાવ 650 ડોલર પ્રતિ ટનથી વધીને 800 ડોલર પ્રતિ ટને પહોંચી ગયા છે.