નવી દિલ્હીઃ ભારતનું સોવરેન રેટિંગ ઘટાડ્યા બાદ ઈન્ટરનેશનલ રેટિંગ એજન્સી મૂડીઝે ચાર બેંક અને આઠ મોટી કંપનીઓનું રેટિંગ પણ ઘટાડ્યું છે. મૂડીઝે જે બેંકોનું રેટિંગ ઘટાડ્યુ છે તેમાં એસબીઆઈ, એચડીએફસી, એક્ઝિ બેંક અને ઈન્ડસ બેંક સામેલ છે. જે કંપનીઓનું રેટિંગ ઘટાડ્યું છે તેમાં આઈટી કંપની ટીસીએસ, ઓએનજીસી, ઈન્ફોસિસ, રિલાયન્સ જેવી દિગ્ગજ કંપનીઓ છે.


મૂડીઝે કહ્યું, કોવિડ-19ના કારણે અર્થતંત્રમાં આવેલા ઘટાડા અને દેશના સોવરેન રેટિંગ ઘટાડવાના કારણે આ બેંકો અને કંપનીઓનું રેટિંગ ઘટાડવામાં આવ્યું છે.

મૂડીઝે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું લોંગ ટર્મ રેટિંગ યથાવત્ રાખ્યું છે પરંતુ કંપની અંગે તેનું આઉટલુક સ્થિરથી નકારાત્મક કરી દીધું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું Baa2 રેટિંગ યથાવત્ છે. ભારતનું સોવરેન રેટંગ બદલાવાના કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું આઉટલુક સ્થિરથી નકારાત્મક કર્યુ છે.

જે અન્ય કંપનીઓનું રેટિંગ ઘટાડવામાં આવ્યું છે તેમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ, ઓયલ ઈન્ડિયા, ભારત પેટ્રોલિયમ અને પેટ્રોનેટ એલએનજી સામેલ છે. મૂડીઝ બેંક ઓફ બરોડા, કેનરા બેંક અને યૂનાઈટેડનો રિવ્યૂ કરી રહી છે. તેમનું રેટિંગ ઘટવાની પણ આશંકા છે.

મૂડીઝે કહ્યું કે, કોરોના વાયરસના સંક્રમણથી ફેલાયેલી કોવિડ-19 બીમારીથી બેંકોના નફામાં ઘટાડો થઈ શકે છે. તેમની એસેટ ક્વોલિટી ખરાબ થઈ છે અને ગ્રાહકોની લોન ડિફોલ્ટમાં વધારો થવાની આશંકા છે.