Ration Card eKYC Deadline 2026: જો તમે મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો અને હજુ સુધી તમારા રેશન કાર્ડનું e-KYC નથી કરાવ્યું, તો હવે થોડી ઉતાવળ રાખજો. તેલંગાણા રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે 31 જુલાઈ e-KYC કરાવવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. નાગરિક પુરવઠા વિભાગ તરફથી હજુ સુધી આ સમયમર્યાદા વધારવા અંગે કોઈ જાહેરાત થઈ નથી, એટલે છેલ્લી ઘડીની ભીડથી બચવા આ મહત્વનું કામ પતાવી લેવું જ ડહાપણભર્યું છે. સારા સમાચાર એ છે કે આ કામ માટે તમારે રેશનની દુકાન પર ધક્કા ખાવાની કે લાઈનોમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા સ્માર્ટફોનથી પણ e-KYC પ્રક્રિયા સાવ સરળતાથી અને ફટાફટ પૂર્ણ કરી શકો છો. આવો જાણીએ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતો વિશે.
25 ટકા લોકોનું e-KYC હજુ પણ બાકી:
અહેવાલો મુજબ, તેલંગાણા રાજ્યમાં હાલમાં આશરે 1,05,42,188 રેશન કાર્ડ નોંધાયેલા છે. આમાંથી લગભગ 75% કાર્ડધારકોએ સમયસર પોતાનું ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ કરી લીધું છે. પરંતુ, બાકીના 25% લોકો માટે 31 જુલાઈની ડેડલાઈન માથા પર છે. મફત રેશનનો લાભ અટક્યા વિના સતત મેળવતા રહેવા માટે આ ઈ-કેવાયસી વેરિફિકેશન કરાવવું એકદમ ફરજિયાત છે.
ઘરે બેઠા મોબાઈલથી e-KYC કેવી રીતે કરવું? (સ્ટેપ-બાય-સ્ટેપ રીત):
જો તમે દુકાને જવા નથી માંગતા, તો તમારા સ્માર્ટફોનથી જ આ કામ ચપટી વગાડતા થઈ જશે. બસ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો:
સૌથી પહેલા તમારા ફોનમાં 'Mera KYC' અને 'Aadhaar FaceRD' નામની બે એપ્લિકેશન ડાઉનલોડ કરો.
હવે મોબાઈલનું 'લોકેશન' (Location) ચાલુ કરો અને 'Mera KYC' એપ ઓપન કરો.
તેમાં તમારું રાજ્ય (જેમ કે, તેલંગાણા) સિલેક્ટ કરો અને તેને કન્ફર્મ કરવા 'Verify Location' પર ક્લિક કરો.
ત્યારબાદ, તમારો આધાર નંબર, મોબાઈલ નંબર અને OTP નાંખીને વેરિફિકેશન પ્રક્રિયા આગળ વધારો.
આટલું કરતા જ તમારી બધી વિગતો સ્ક્રીન પર ખૂલી જશે. નીચે તમને 'Face eKYC' નો ઓપ્શન દેખાશે.
આ ઓપ્શન પર ક્લિક કરીને તમારો ચહેરો સ્કેન કરો. બસ, આટલું કરતા જ તમારું રેશન કાર્ડ e-KYC પૂર્ણ થઈ જશે!
આ પણ વાંચોઃ જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સરકારી એપ કેમ તમારા ફોનમાં હોવી જ જોઈએ? જાણો કારણ
રેશનની દુકાને જઈને પણ થઈ શકશે કામ:
જો તમને ઓનલાઈન પ્રક્રિયા અઘરી લાગતી હોય અથવા મોબાઈલમાં કોઈ સમસ્યા હોય, તો તમે સીધા જ તમારી નજીકની રેશનની દુકાને જઈને પણ આ કામ પતાવી શકો છો. તમારે ફક્ત તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લઈને જવાનું રહેશે. દુકાનદાર ત્યાં હાજર e-POS (ઈ-પોસ) મશીનમાં તમારી ફિંગરપ્રિન્ટ (બાયોમેટ્રિક) લઈને ગણતરીની મિનિટોમાં જ તમારું e-KYC પૂરું કરી આપશે.
રેશન કાર્ડ e-KYC શા માટે આટલું જરૂરી છે?
તમને થતું હશે કે આ બધી માથાકૂટ શા માટે? તો જાણી લો કે રેશન કાર્ડ માત્ર સરકાર તરફથી મફત કે સસ્તું અનાજ મેળવવાનું જ સાધન નથી, પરંતુ તે એક ખૂબ જ મહત્વનો ઓળખનો પુરાવો (ID Proof) પણ છે. e-KYC થવાથી સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે સરકારી યોજનાઓનો લાભ ખરેખર સાચા અને જરૂરિયાતમંદ લોકો સુધી જ પહોંચી રહ્યો છે. સીધી ભાષામાં કહીએ તો, આ પ્રક્રિયાથી રેશન કાર્ડના નામે થતી ગેરરીતિ અને છેતરપિંડીને રોકવામાં બહુ મોટી મદદ મળે છે.
આ પણ વાંચોઃ રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
