નવી દિલ્હીઃ ઘણી વખત લોકો બેન્કિંગ ફ્રોડનો ભોગ બનાત હોય ત્યારે તેમને કાર્ડ બંધ કરાવવા માટે કસ્ટમર કેરમાં કોલ કરવો પડતો હોય છે. ત્યાર બાદ જ તમારું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટે વિનંતી કરી શકો છો. હવે આવનારા સમયમાં તમને એક ખાસ સુવિધા મળવા જઈ રહી છે.


નવી સુવિધામાં તમે ખુદ જ તમારા કાર્ડને સ્વિટ ઓન કે સ્વિચ ઓફ કરી શકશો. ત્યાર બાદ તમારે કસ્ટમર કેરમાં કોલ કરવાની જરૂરત નહીં પડે. તમે ખુદ પણ તેને બંધ કરી શકશો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકો અને કાર્ડ ઈશ્યૂ કરતી અન્ય કંપનીઓને ગ્રાહકોને તેના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને ખુદ ચાલુ કે બંધ કરવા (સ્વિચ ઓન અને સ્વિચ ઓફ)ની સુવિધા આપવા માટે કહ્યું છે. ગ્રાહકોને આ પ્રકારનો વિકલ્પ મોબાઈલ એપ, ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ મશીન જેવા માધ્યમોથી મળી શકે છે.

રિઝર્વ બેંકે કહ્યું કે, આ સુવિધા 24 કલાક ઉપલબ્ધ હોવી જોઈએ. આ પ્રકારના વિકલ્પ ગ્રાહકોને મોબાઈલ એપ, ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ મશીન અને વોયસ રિસ્પોન્સ સહિત કોઈપણ રીતે અપનાવા માટેની સુવિધા હોવી જોઈએ.

કેન્દ્રીય બેંકે કહ્યું કે, હાલમાં જે કાર્ડ ક્યારેય ઓનલાઈન પેમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં ન આવ્યા હોય તેને આ પ્રકારના પેમેન્ટ માટે ફરજિયાતપણે ડિએક્ટિવ કરવા જોઈએ. જોકે આરબીઆઈના હાલના આદેશ પ્રીપેડ ગિફ્ટ કાર્ડ અને મેટ્રો કાર્ડ જેવા કાર્ડમાં લાગુ નહીં થાય. જણાવીએ કે, આરબીઆઈના આ નિર્ણયનો ઉદ્દેશ કાર્ડ દ્વારા ડિજિટલ લેવડ દેવડને વધારે સુરક્ષિત કરવાનો છે.