Monetary Policy Review: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બર નાણાકીય સમીક્ષા બેઠકમાં ફરી એક વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ નિર્ણય ઉંચા મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. રિટેલ મોંઘવારી દર હાલમાં રિઝર્વ બેંકને સંતોષજનક સપાટીની ઉપર જોવા મળી રહ્યો છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની એમપીસીએ રેપો રેટ અને રિવર્સ રેટોમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ 4 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા, કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેંક રેટ 4.25 ટકા પર જાળવી રાખ્યા છે.


રિઝર્વ બેંકના અંદાજ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થામાં 9.5 ટકાનો ઘટાડો આવશે. એમપીસીની ઓક્ટોબરમાં મળેલ બેઠકમાં વધેલ મોંઘવારી દરને કારણે નીતિગત દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ઓગસ્ટની બેઠકમાં પણ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. છેલ્લે મેમાં વ્યાજ દરમાં 40 બેસિસ પોઈન્ટ અને માર્ચમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં બેંક રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કરી ચૂકી છે.