નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાને આગામી વર્ષ સુધી સંપૂર્ણ રીતે દેવામુક્ત કરવાનું લક્ષ્ય અત્યારેજ પ્રાપ્ત કરી લીધું છે. તેને લઈને કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ નિવેદન જાહેર કરીને કહ્યું કે, 31 માર્ચ 2021 સુધી કંપનીને દેવામુક્ત બનાવવાનું વચન ખૂબજ જલ્દી જ પૂર્ણ કરી દીધું છે.


મુકેશ અંબાણીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “આજે મને જાહેરાત કરતા ખુશી થાય છે કે, અમારું શેરહોલ્ડર્સ સાથે વચન હતું કે, રિલાયન્સને 31 માર્ચ 2021 સુધી દેવામુક્ત બનાવીશું, તેને પહેલા જ પૂર્ણ કરી લીધું છે.”

ઉલ્લેખનીય છે કે, આ ટાર્ગેટને પહોંચી વળવા માટે સતત રોકાણકારોનો એકઠા કરવામાં આવી રહ્યા હતા. જિયો પ્લેટફોર્મમાં સતત દસમાં રોકાણકારની ભાગીદારી પણ આ વાતનો પૂરાવો છે. જણાવી દઈએ કે, જિયો પ્લેટફોર્મ્સમાં અત્યાર સુધી સતત દસમાં રોકાણકારે રોકાણ કર્યું. સૌથી નવો રોકાણકાર સાઉદી અરબનો પબ્લિક ઇનવેસ્ટમેન્ટ ફંડ (PIF) છે. જેમણે તેમની 2.32 ટકા ભાગીદારી 11,367 કરોડ રૂપિયામાં ખરીદી છે. સતત નવમાં સપ્તાહે જિયો પ્લેટફોર્મ્સમાં આ દસમી ભાગીદારી છે. જિયો પ્લેટફોર્મ અત્યાર સુધી પોતાની 24.70 ટકા હિસ્સો વેચીને 1.6 લાખ કરોડ રૂપિયા ભેગા કરી ચૂક્યું છે.