નવી દિલ્હી: શનિવારે નાણાં મંત્રી નિર્માલ સીતારામણે બજેટ રજૂ કર્યું હતું જેમાં અનેક જાહેરાત કરી હતી. આ ઉપરાંત શનિવાર હોવા છતાં પણ ગઈકાલે શેર માર્કેટ પણ ચાલુ જ હતું જેમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યાં હતાં જોકે અનેક જાહેરાતો બાદ માર્કેટ 1000થી પણ વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો જેના કારણે રોકાણકારોના રૂપિયાનું ધોવાણ થયું હતું. બજેટના દિવસે શેરબજારમાં મંદીને લીધે રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 4 લાખ કરોડનું ધોવાણ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

ભારતીય શેરબજારે બજેટને લઈ ઉદાસિન પ્રતિભાવ આપતા લગભગ તમામ સેક્ટરના શેરોમાં ધબડકો બોલી ગયો હતો. પ્રારંભિક કામકાજ દરમિયાન આશરે 200 પોઈન્ટનો સુધારો નોંધાવ્યો હતો જોકે બાદમાં જેમ-જેમ બજેટની જોગવાઈ જાહેર થતી ગઈ તેમ તેમ શેર માર્કેટનું સેન્ટીમેન્ટ બગડવા લાગ્યું હતું અને બેન્ચમાર્ક ઈન્ડેક્સે મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત મહત્વની 40,000ની સપાટી ગુમાવી દીધી હતી.

એટલે કે સેન્સેક્સમાં 1000થી વધુના પોઈન્ટનો અને નિફ્ટીમાં 318 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. આઈટી અને ટેક્નોલોજી સેક્ટરને બાદ કરતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ્ટી, મેટલ, બેન્ક, ફાયનાન્સ સહિતના લગભગ તમામ સેક્ટરના શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ 4 ટકા સુધીનો કડાકો બોલાયો હતો.