મુંબઈ : દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)એ સોમવારે વ્યાજદરોમાં ફેરફારની જાહેરાત કરી છે. એસબીઆઈએ સોમવારે પોતાના MCLR માં 10 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ બેંક તરફથી ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજદરોમાં 25 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. દેશની સૌથી મોટી બેંક તરફથી આ નાણાકીય વર્ષ દરમિયાન MCLRમાં આ પાંચમી વખત ઘટાડો કરવામાં આવ્યો છે.


એસબીઆઈ તરફથી આવું પગલું રિઝર્વ બેંક તરફથી કરવામાં આવેલા રેપો રેટના નિર્ણય પછી ભરવામાં આવ્યું છે. આ વર્ષે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી રેપો રેટમાં 1.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એસબીઆઇ તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 10મી સપ્ટેમ્બરથી બેંકનો MCLR 8.15 ટકા રહેશે.

એસબીઆઈ તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ફિક્સ્ડ ડિપોઝિટ પરના નવા દરોમાં રિટેલ માટે 20થી 25 બેસિસ પોઇન્ટ ઘટાડો અને બલ્ક ડિપોઝિટમાં (એક સાથે વધારે પ્રમાણમાં થાપણ) 10-20 બેસિસિ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.  એસબીઆઈના જણાવ્યા પ્રમાણે ઘટી રહેલા વ્યાજદર સાથે ડિપોઝિટના દરના તાલમેલ માટે આ ઘટાડો કરવામાં આવ્યો છે.