નવી દિલ્હીઃ ઓટો સેક્ટરની મંદીથી પરેશાન કંપનીઓ સતત ઉત્પાદનમાં ઘટાડો, કામના કલાકમાં ઘટાડો જેવા ઉપાયો કરી રહી છે. હવે હિન્દુજા ગ્રુપની ઓટો કંપની અશોક લેલેન્ડ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં તેના પ્લાન્ટ્સમાં 5 થી 18 દિવસ સુધી કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી છે. કંપનીએ આ માટે નબળી માંગને કારણ જણાવી છે. કંપની દેશના તમામ પ્લાન્ટમાં કામકાજના દિવસો ઘટાડી રહી છે.




કંપનીએ તેની પતંનગર પ્લાન્ટમાં 18 દિવસ કામકાજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત અલવરમાં 10 દિવસ, ભંડારામાં 10 દિવસ, એન્નોરમાં 16 દિવસ અને હોસુર પ્લાન્ટમાં 5 દિવસ કામકાજ બંધ રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. કામકાજ બંધ કરતા પહેલા કંપનીએ કર્મચારીઓને નોકરી છોડવા માટે ઓફર પણ આપી છે.



અશોક લેલેન્ડે કાર્યકારી સ્તરના કર્મચારીઓ માટે નોટિસ બહાર પાડીને વીઆરએસ અને ઈએસએસની ઓફર આપી છે. કંપનીના કર્મચારીઓ બોનસ વધારવા માટે હડતાલ પર હતા તેવા સમયે જ આ જાહેરાત કરી છે.



દેશની ઓટો ઈન્ડસ્ટ્રી હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ઓટો ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી સુસ્તી દરમિયાન મારુતિ સુઝુકી ઈન્ડિયાના 3000થી વધારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની જોબ જતી રહી છે. પ્રોડકશન અને વેચાણમાં ભારે ઘટાડાના કારણે એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં ઓટો સેક્ટરમાં આશરે 2 લાખથી વધારે નોકરીઓ જતી રહી છે.