નવી દિલ્હીઃ એસબીઆઈએ માર્જિન કોસ્ટ ઓફ ફન્ડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ એટલે કે MCLRમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. તેનાથી બેંકની હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો આવી શકે છે. એસબીઆઈએ આ ઘટાડો દરેક ગાળાની લોન માટે કર્યો છે.


નવા રેટ બાદ એસબીઆઈનો એમસીએલઆર એક વર્ષ માટે ઘટીને 7 ટકા રહી ગયો છે. આ પહેલા તે એક વર્ષ માટે 7.25 ટકા હતો. નવા દર 10 જૂન 2020થી લાગુ થશે. બેંકે એક્સટર્નલ લિંક્ડ વ્યાજ દરમાં પણ 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. એસબીઆઈએ એમસીએલઆરમાં સતત 13મી વખત ઘટાડો કર્યો છે. બેંકે પોતાના બેસ રેટમાં ઘટાડો કર્યો છે. હવે નવા દર 7.4 ટકાછે. પહેલા બેસ રેટ 8.15 ટકા હતો. નવા બેસ દર પણ 10 જૂન 2020થી લાગુ થશે.

હોમ લોનની ઈએમઆઈ ઘટી શકે છે

આ ઘટાડાનો લાભ નવા લોન લેનારને મળસે. તેનાથી તેની ઈએમઆઈ હવે ઘટી જશે. એસબીઆઈની જોમ જ અનેક બેંક પણ પોતાની એસીએલઆરમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે.

કોરોનાને કારણે આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો આવ્યોછે. તેનાથી લોનની માગ ઘટી ગઈ છે. આ જ કારણ છે કે બેંક વ્યાજ દર ઘટાડીને તેને વધારવા માગે છે. કોરોનાને કારણે તમામ બેંકોએ ગ્રાહકોને છ મહિના માટે લોન ન ચૂકવવાની છૂટ આપી છે. જોકે એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે, છૂટ છતાં એસબીઆઈના માત્ર 21.8 ટકા ગ્રાહકોએ છૂટનો લાભ લીધો છે. તેમણે કહ્યું કે, 82 ટકા ગ્રાહકોએ લોકડાઉન દરમિયાન બે અથવા વધારે ઈએમઆઈ ભરી છે. તેમણે કહ્યું કે, એસબીઆઈ પાસે ફંડની કોઈ ઘટ નથી. તેમની પાસે હાલમાં એક લાખ કરોડ રૂપિયા છે, જેનાથી તે કોઈપણ ઇમરજન્સી સ્થિતિનો સામનો કરી શકે છે. તેમનો હાલમાં બજારમાંથી મૂડી મેળવવાનો કોઈ ઈરાદો નથી.