નવી દિલ્હીઃ લોનદારોક માટે સારા સમાચાર સામે આવ્યા છે. લોનધારકોએ હવે વ્યાજ પર વ્યાજ નહીં ભરવું પડે. નાણા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, જો કોઈ લોનધારકે લોન મોરેટોરિયમ દરમિયાન સતત બેંકના હપ્તા ભર્યા હશે તો તેને બેંક કેશબેક પણ આપશે.


સરકારે બે કરોડ સુધીની લોન પર મોરેટોરિયમ દરમિયાન વ્યાજના વ્યાજ પર છૂટ આપવાની જાહેરાત કરી હતી. એનો મતલબ એ કે, જો તમે લોકડાઉન દરમિયાન મોરેટોરિયમનો લાભ નહીં ઉઠાવ્યો હોય અને દરેક હપ્તો ચુકવ્યો હશે તો બેંક તરફથી તમને કેશબેક મળશે. યોજનાનો લાભ ન ઉઠાવનાર અને સમયસર હપ્તા ચુકવનારને સરકાર અન્યાય નહીં થવા દે.

નાણાં મંત્રાલયે લોન મોરટોરિયમ સંબંધિત વ્યાજમાંથી મુક્તિ આપવા માર્ગદર્શિકા જાહેર કરી છે. કોવિડ -19 કટોકટીને લીધે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા લોનની ચુકવણી માટે સમય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત, સરકાર રૂ. બે કરોડ સુધીની લોન પર છ મહિનાના સમયગાળા માટે સંચિત વ્યાજ, એટલે કે વ્યાજ પરના વ્યાજ અને સરળ વ્યાજ વચ્ચેના તફાવતની સમાન રકમ ચૂકવશે. ભારતીય સુપ્રીમ કોર્ટે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી મુદત અંતર્ગત 2 કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજ માફી યોજના વહેલી તકે લાગુ કરવા કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો. તે પછી આ માર્ગદર્શિકા આવી છે.

નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા અનુસાર, ઋણ લેનાર સંબંધિત લોન ખાતા પર યોજનાનો લાભ મેળવી શકે છે. આ લાભ 1 માર્ચ, 2020 થી 31 ઓગસ્ટ, 2020 ના સમયગાળા માટે છે. આ પ્રમાણે 29 ફેબ્રુઆરી સુધીના કુલ ઋણ 2 કરોડથી વધુ નહીં હોય તેવા લોન લેનારાઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર બનશે.

આ યોજના અંતર્ગત હાઉસિંગ લોન, એજ્યુકેશન લોન, ક્રેડિટ કાર્ડના લેણાં, ઓટો લોન, એમએસએમઇ (માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો), માટેની લોન અને વપરાશ માટેની લોન હશે.
કેંદ્ર સરકારે શુક્રવારે લોન મોરેટોરિયમ દરમિયાન વ્યાજ પર વ્યાજને લઈને પોતાના નિર્ણયની જાણકારી આપી છે. લોન મોરેટોરિયમને 1 માર્ચથી 31 ઑગસ્ટ સુધી લાગૂ કરાયું હતું. આ દરમિયાન લેણદારોને EMI ચુકવવામાંથી રાહત અપાઈ હતી. જો કે, બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને સરકારે કહ્યું- લોનધારકોએ વ્યાજ પર વ્યાજ નહીં ભરવું પડે.

સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરી પર આશરે 7 હજાર કરોડનો બોજો આવશે. સરકાર બે કરોડ સુધીની લોન પર વ્યાજનું વ્યાજ માફ કર્યું હતું. આ અંગે સરકારે સુપ્રીમ કોર્ટમાં પણ સોગંદનામું પણ દાખલ કર્યું હતું. અને આ અંગે સુપ્રીમ કોર્ટે લોકોની દિવાળી સુધારવી કે બગાડવી તેનો નિર્ણય કેંદ્ર સરકાર પર છોડ્યો હતો. જો કે, હવે કેંદ્ર સરકારના આ નિર્ણયથી લોકોની દિવાળી સુધરી જશે.