કેન્દ્ર સરકાર આગામી સમયમાં દેશની બે સરકારી બેંકોનું ખાનગીકરણ કરી શકે છે. કેન્દ્ર સરકારે આ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીસ બેંકની પસંદગી કરી છે. આ બન્ને બેન્કમાં સરકાર પોતાનો 51 ટકા હિસ્સો વેચી શકે છે.


ડિસઇન્વેસ્ટમેન્ટ પહેલાં સરકાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ સિવાય કેટલાક અન્ય બેન્કિંગ કાયદામાં ફેરફાર કરશે, તે પછી જ ખાનગીકરણનો માર્ગ સ્પષ્ટ થશે. 1 ફેબ્રુઆરીએ બજેટની ઘોષણા કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે. ચાલુ નાણાંકીય વર્ષ માટે સરકારે 1.75 લાક કરોડ રૂપિયા ડિસઇન્વેસ્ટમેન્ટથી મેળવવાનો ટાર્ગેટ રાખ્યો છે.


નોંધનીય છે કે, નીતિ પંચે આ મહિનામાં ખાનગીકરણ માટે ઇન્ડિયન ઓવરસીસ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના નામની ભલામણ કરી હતી. નીતિ પંચને ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક વીમા કંપનીનું નામ નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.


હવે એક સવાલ સર્વત્ર ચર્ચાઇ રહ્યો છે કે ખાનગીકરણ બાદ આ બંને બેંકનાં કર્મચારીઓ અને ગ્રાહકોનું શું થશે, જો કે તે અંગે નાણા પ્રધાન નિર્મલા સિતારમણે 16 માર્ચે જ સ્પષ્ટતા કરી હતી, કે ગ્રાહકોને પહેલા જેવી જ સુવિધાઓ મળતી રહેશે, તેમાં માત્ર ઔપચારિક ફેરફારો થશે, જ્યારે બેંકકર્મીઓની નોકરી પર કોઇ જોખમ નહી આવે, તેમના પગાર અને પેન્શન તથા અન્ય સુવિધાઓ સહિતનાં હિતોનું સંપુર્ણ ઘ્યાન રાખવામાં આવશે.


આ બન્ને બેંકના ખાનગીકરણ થવાના સમાચાર સામે આવ્યા બાદ બન્ને બેંકના સ્ટોકમાં ભારે ઉછાળો આવ્યો હતો. બન્ને કંપનીના સ્ટોકમાં 20 ટકા સુધીની અપર સર્કિટ લાગી હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો સ્ટોક 22 જૂનના રોજ 6.61 ટકા ઉછળીને 25.80 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે ઇન્ડિયન ઓવરસીસ બેંકનો સ્ટોક 8 ટકાના ઉછાળા સાથે 25.50ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે.