નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં રોજગાર ઘટી રહ્યા છે. અનેક કંપનીઓ પોતાને ત્યાં કર્મચારીઓની છટણી કરી રહી છે, તો કેટલીક કંપનીઓ પોતાને ત્યાં કર્મચારીઓના પગારમાં ભારે ઘટાડો કરી રહી છે. હવે ઓનલાઈન કેબ સર્વિસ આપતી ઉબરે પણ પોતાના 14 ટકા એટલે કે 3700 કર્મચારીઓની છટણી કરી છે.


ઉબરે આ કર્મચારીઓને એક વીડિયો કોલ દ્વારા કહ્યું કે, કોવિડ-19 મહામારી એક મોટો પડકાર છે. તેનાથી બચવા માટે ઉબરે કર્મચારીઓને કહ્યું છે કે, હવે કંપનીને તેમની જરૂરત નથી. ત્યાર બાદ ઉબરની ખૂબ ટીકા પણ થઈ રહી છે.

ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર, ઉબરે ગ્રાહક સેવાના પ્રમુખ રફિલ શેવલો પોતાના કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, ‘અમે 3700 ફ્રન્ટલાઈન કર્મચારીઓની છટણી કરી રહ્યા છીએ. તમારું કામ પ્રબાવિત થયું છે અને આજે તમારો ઉબર સાથેનો અંતિમ દિવસ છે.’

તેમણે ત્રણ મીનિટના એક વીડિયો કોલમાં પોતાના કર્મચારીઓને આ વાત કહી છે. જોકે શેવલો ઉબર સાથે જોડાવવા બદલ અને યોગદાન માટે કર્મચારીઓનો આભાર પણ માન્યો. ઉબરે કહ્યું કે, તેની કેબ સર્વિસ બિઝનેસ લગભગ અડધો થઈ ગયો છે અને અનેક ગ્રાહક સેવા કર્મચારીઓ માટે એટલું કામ નથી.

2.9 અબજ ડોલરની ખોટ

અનેક કર્મચારીઓએ ઉબરના વ્યવહારની ટીકા કરી છે અને કહ્યું કે, કંપનીએ પહેલા નોટિસ આપવી જોઈતી હતી. અચાકન કોલ કરવાથી 3700 કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવા યોગ્ય નથી. કાઢી મુકવામાં આવેલ અનેક કર્મચારીને કેટલાક રૂપિયા પણ મળ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ઉબરને ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રથમ ક્વાર્ટરમાં 2.9 અબજ ડોલરની ખોટ ગઈ છે. કંપનીએ પોતાના બાઈક અને સ્કૂટરનો કારોબાર પણ બંધ કર્યો છે.