Central Cabinet Decisions: બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળીહતી, જેમાં કેટલીક યોજનાઓના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે. ઘણી નવી યોજનાઓ શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ બેઠક વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે દેશભરમાં લગભગ 10,000 નવી ઈલેક્ટ્રિક બસો રજૂ કરવામાં આવશે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે વિશ્વકર્મા યોજના હેઠળ 1 થી 2 લાખ રૂપિયાની લોન પર મહત્તમ 5 ટકા વ્યાજ વસૂલવામાં આવશે.


 ઈલેક્ટ્રિક બસોની યોજના પાછળ રૂ. 57,613 કરોડનો ખર્ચ થશે


કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, 3 લાખની વસ્તીવાળા લગભગ 100 શહેરોમાં ઇલેક્ટ્રિક બસ ચલાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ લગભગ 57,613 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમાંથી 20,000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર ભોગવશે. આ યોજના હેઠળ દેશભરમાં 10 હજાર ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. આ યોજના પીપીપી મોડલ પર આધારિત હશે અને તેની સાથે સિટી બસો પણ ચલાવવામાં આવશે. આ યોજના 10 વર્ષ સુધી ઇલેક્ટ્રિક બસો ચલાવવાની વાત કરે છે.


વિશ્વકર્મા સ્કીમને પણ મંજૂરી મળી


બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જ વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનું નામ પીએમ વિશ્વકર્મા હશે. વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટે પોતાના ભાષણ દરમિયાન આ યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ યોજનાથી દેશના 30 લાખ કામદારોના પરિવારોને ફાયદો થશે. આ યોજના 13 હજાર કરોડ રૂપિયાથી શરૂ થઈ રહી છે અને તે પાંચ વર્ષની યોજના છે.


ડિજિટલ ઈન્ડિયાનો વિસ્તાર થશે


કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે ડિજિટલ યોજનાના વિસ્તરણ માટે 14,903 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ 5.25 લાખ આઈટી પ્રોફેશનલ્સને વધુ કુશળ બનાવવામાં આવશે. આ સાથે 2.65 લાખ લોકોને ITની તાલીમ આપવામાં આવશે. ડિજિટલ ઈન્ડિયાના વિસ્તરણમાં નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ 9 સુપર કોમ્પ્યુટર ઉમેરવામાં આવશે. આ યોજનામાં પહેલાથી જ 18 સુપર કોમ્પ્યુટર કામ કરી રહ્યા છે.


રેલવે માટે 32,500 કરોડ રૂપિયાની યોજનાઓ


રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે, કેન્દ્રીય કેબિનેટે વિવિધ રેલ્વે પ્રોજેક્ટ માટે 32,500 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ અંતર્ગત સાત મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ભારતીય રેલ્વેના વર્તમાન નેટવર્કમાં 2,339 કિમી ઉમેરવામાં આવશે. આ યોજનાઓ આંધ્ર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ, તેલંગાણા, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના 35 જિલ્લાઓને આવરી લેશે.