રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત વધતા પ્રદૂષણને દૂર કરવા કેન્દ્ર સરકારની પેનલે દિલ્હી-એનસીઆરની તમામ સ્કૂલ, કોલેજ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ આગળના આદેશ સુધી ઓનલાઇન ક્લાસ જ ચાલુ રહેશે.  તેમજ  દિલ્હીમાં જરૂરી ટ્રકોની એન્ટ્રી પર બૅન લગાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. 50 ટકા સ્ટાફને વર્ક ફ્રોમ  હોમ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખની છે કે, દિલ્લીમાં વધતાં જતાં પ્રદૂષણની ગંભીરતાને લઇને આ નિર્ણય લેવાયો છે. આગામી આદેશ સુધી તમામ ખાનગી શાળાઓ, કોલેજને પણ  બંધ કરવાના  આદેશો આપ્યાં છે.  


50 ટકા સ્ટાફને વર્કફ્રોમ હોમ
ગત રાત્રે કમીશન ફોર એરક્વોલિટી મેનેજમેન્ટે વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે 50 ટકા સરકારી અધિકારીઓને 21 નવેમ્બર સુધી વર્ક ફ્રોમ આપવાના આદેશ કરાયા છે. ઉપરાંત પ્રાઇવેટ ઓફિસોમાં પણ વર્ક ફ્રોમ હોમ આપવાની સલાહ અપાઇ છે.  


21 નવેમ્બર સુધી કોર્ટની એન્ટ્રી પર પ્રતિબંધ
કમિશને આદેશ આપ્યો છે કે, 21 નવેમ્બર સુધી દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. તે જ રીતે રેલ્વે, મેટ્રો, એરપોર્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા/રક્ષા સિવાયના તમામ બાંધકામો પર 21 નવેમ્બર સુધી પ્રતિબંધ રહેશે. નોંધનીય છે કે  હાલ દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં છે.  જે પછી દિલ્હી સરકારે ઉત્તરીય રાજ્યો સાથેની બેઠકમાં દિલ્હી-એનસીઆરમાં વર્ક ફ્રોમ હોમ પોલિસીનો અમલ કરવાનું સૂચન કર્યું હતું. પ્રદૂષણ આ સિવાય સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ કેસની સુનાવણી દરમિયાન લોકડાઉન લાગુ કરવાનું પણ સૂચન કર્યું હતું.