દિવાળીના તહેવારમાં ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજનની પરંપરા છે. આ દિવસે લક્ષ્મીજી પધારતાં હોવાનું કહેવાય છે. દિવાળીનો તહેવાર ભારતીય શેરમાર્કેટ માટે ખાસ હોય છે. દિવાળીના દિવસે શેરબજારમાં રજા હોય છે પરંતુ સાંજના સમયે બજાર એક કલાક ખૂલે છે અને તેમાં રોકાણકારો રૂપિયા લગાવે છે.


મુહૂર્ત ટ્રેડિંગનો ચાલુ વર્ષે સમય

14 નવેમ્બરે શેર બજાર બીએસઈ તથા એનએસઈમાં સાંજે 6.15 કલાકથી એક કલાક માટે વિશેષ મુહૂર્ત કારોબાર થશે. બંને એકસચેન્જ અનુસાર મુહૂર્ત ટ્રેડિંગનો શુભ સમય સાંજે 6.15 થી 7.15 મિનિટ સુધી રહેશે. પ્રી ઓપનિંગ સેશન 6 વાગ્યાથી 6.14 મિનિટ સુધી રહેશે.

દિવાળીની સાથે નવા વર્ષની શરૂઆત થઈ જાય છે. આ વખતે દિવાળીની સાથે વિક્રમ સંવત 2077ની શરૂઆત થશે. દેશના અનેક હિસ્સામાં દિવાળીના તહેવારની સાથે નવું નાણાકીય વર્ષ પણ શરૂ થાય છે. શુભ મુહૂર્તના સમયે શેરમાર્કેટના કારોબારી ખાસ ટ્રેડિંગ કરે છે, આ કારણે તેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવાય છે.

મુહૂર્ત ટ્રેડિંગના દિવસે શેરબજારમાં રોકણ કરવાથી લાભ થતો હોવાનું માનવામાં આવે છે. આ કારણે નાના કારોબારીથી લઈ મોટા રોકાણકારો બજારમાં રૂપિયા જરૂર લગાવે છે. ઘણા લોકો આ દિવસે શેર પણ ખરીદે છે.