Trump on India Pakistan Ceasefire: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (13 મે, 2025) ફરી એકવાર દાવો કર્યો કે તેમના વહીવટીતંત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સંઘર્ષને રોકવા માટે 'ઐતિહાસિક યુદ્ધવિરામ સફળતાપૂર્વક કરાવ્યો છે'.
ટ્રમ્પે રિયાદમાં સાઉદી અમેરિકા ઇન્વેસ્ટમેન્ટ ફોરમને સંબોધિત કરતા કહ્યું હતું કે "જેમ મેં મારા ઉદ્ઘાટન ભાષણમાં કહ્યું હતું મારી સૌથી મોટી આશા શાંતિદૂત બનવા અને એકતા લાવવાની છે. મને યુદ્ધ ગમતું નથી. અમારી પાસે દુનિયાના ઇતિહાસની સૌથી મોટી સેના છે.
અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યુઃ ડોનાલ્ડ ટ્રમ્પ
તેમણે દાવો કર્યો હતો કે, 'થોડા દિવસો પહેલા જ મારા વહીવટીતંત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી હિંસાને રોકવા માટે ઐતિહાસિક યુદ્ધવિરામ સફળતાપૂર્વક કરાવ્યો હતો.' અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખાડી ક્ષેત્રની તેમની ચાર દિવસીય મુલાકાતના પહેલા તબક્કામાં સાઉદી અરેબિયામાં છે.
તેણે કહ્યું હતું કે, 'મેં આમ કરવા માટે મોટાભાગે બિઝનેસનો ઉપયોગ કર્યો અને મેં કહ્યું મિત્રો, ચાલો એક ડિલ કરીએ છીએ. ચાલો વ્યાપાર કરીએ છીએ. ટ્રમ્પના આ સંબોધન દરમિયાન હાજર દર્શકોએ તાળીઓ પાડી હતી. દરમિયાન અબજોપતિ એલન મસ્ક પણ હાજર હતા. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પણ તેની પ્રશંસા કરી હતી.
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર ટ્રમ્પે શું કહ્યું?
ટ્રમ્પે કહ્યુ હતું કે "આવો પરમાણુ મિસાઇલનો વ્યાપાર ના કરીએ. એ વસ્તુઓનો વ્યાપાર કરીએ જેને તમે આટલી સુંદર રીતે બનાવો છો અને બંન્ને પાસે ખૂબ શક્તિશાળી નેતા, મજૂબત નેતા, સારા નેતા, સ્માર્ટ નેતા છે અને બધું રોકાઇ ગયું. આશા છે કે આમ જ રહેશે પરંતુ આ બધુ રોકાઇ ગયું
માર્કો રુબિયો પર ગર્વ છે: ટ્રમ્પ
તેમણે કહ્યું કે તેમણે વિદેશ મંત્રી માર્કો રુબિયો અને તે બધા લોકો પર ખૂબ ગર્વ છે જેમણે આટલી મહેનત કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, 'માર્કો, ઉભા થઇ જાવ.' તમે ખૂબ સરસ કામ કર્યું. આભાર. વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, માર્કો, આખા ગ્રુપે તમારી સાથે કામ કર્યું, પણ આ ખૂબ સારું કામ છે અને મને લાગે છે કે તેઓ (ભારત અને પાકિસ્તાન) ખરેખર એકબીજા સાથે મળી રહ્યા છે.
એક દિવસ પહેલા ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમના વહીવટીતંત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે "પરમાણુ સંઘર્ષ" અટકાવ્યો છે અને દક્ષિણ એશિયાઈ પડોશીઓને કહ્યું હતું કે જો તેઓ દુશ્મનાવટનો અંત લાવે તો અમેરિકા તેમની સાથે "ઘણો વેપાર" કરશે.
ભારતે કહ્યું હતું - બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી
ટ્રમ્પના આ દાવાને ભારતે ફગાવી દીધો હતો. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામની અપીલ કરવામાં આવી હતી, ત્યારબાદ યુદ્ધવિરામ થયો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે કાશ્મીર મુદ્દા પર કોઈપણ દેશ દ્વારા મધ્યસ્થી કરવાની જરૂર નથી. પીઓકે પર પાકિસ્તાન સાથે વાતચીત થશે. કાશ્મીર અમારો અભિન્ન અંગ છે.