અમદાવાદઃ ખેડૂત આંદોલનનો આજે 11મો દિવસ છે. ગઈકાલે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે થયેલી પાંચમા તબક્કાની મીટિંગમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું. આશરે 5 કલાક ચાલેલી મીટિંગમાં ખેડૂતોએ સરકારને કહ્યું કે, તેઓ કાનૂનને પરત લેશે કે નહીં તે સ્પષ્ટ કરે. આગામી બેઠક 9 ડિસેમ્બરે યોજાશે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સરકાર તેમનો લેખિત ફેંસલો મોકલે અને તે બાદ બેઠકમાં સામેલ થવા પર ફેંસલો લઇશું.


ગુજરાતમાંથી કોણ જોડાશે

આ દરમિયાન આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ગુજરાત કોંગ્રેસ દિલ્હીમાં ચાલતા આંદોલનમાં જોડાશે. ગુજરાત કિસાન કોંગ્રેસના કાર્યકરો દિલ્હી જશે અને આંદોલનમાં સામેલ થશે.

મોદી સરકાર ખેડૂતો સાથેઃ નરેન્દ્ર સિંહ તોમર

શનિવારે ખેડૂતો સાથે બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું, અમે શંકાનું સમાધાન કરવા તૈયાર છીએ. ખેડૂતો સાથે સારા માહોલમાં ચર્ચા થઈ. ખેડૂત નેતાઓના સૂચન મળે તો સારું રહેશે. 9 ડિસેમ્બરે આગામી બેઠક યોજાશે. હું ખેડૂતોને અપીલ કરું છું કે આંદોલનમાં સામેલ બાળકો અને વડીલો ઘરે જાય. એમએસપીમાં કોઇ પણ પ્રકારનો બદલાવ નહીં કરવામાં આવે. મોદી સરકાર ખેડૂતો સાથે છે. એમએસપી પર કોઈ ખતરો નથી.

બેઠક બાદ ખેડૂતોએ ફરી એક વખત સ્પષ્ટ કર્યું કે, સરકાર હા કે ના માં જવાબ આપે. અમે સંશોધન નથી ઈચ્છતા. આ ખેડૂતોના હિતમાં નથી તો સંસોધન કેવું ? અમે સંશધન નહીં કાનૂન રદ થાય તેમ ઈચ્છીએ છીએ. એમસએસપી સમગ્ર દેશમાં ઈચ્છીએ છીએ.