ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 256 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ કોરોનાના કેસનો આંકડો 3071 પર પહોંચી ગયો હતો. કોરોનાના કારણે રાજ્યમાં 133 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 282 લોકો સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતુ કે, ગુજરાત જેટલી જ જનસંખ્યા ધરાવતા દેશો કરતા ગુજરાતની સ્થિતિ ખૂબ જ સારી છે. ઈટાલી અને સ્પેનની જનસંખ્યા  ગુજરાત જેટલી જ છે. રાજ્યના 30 જિલ્લાઓમાં કોરોના ફેલાયો છે.


તેમણે કહ્યુ કે, 35મા દિવસે વિદેશોની તુલનામાં રાજ્યમાં કોરોના સંક્રમણની ઝડપ ઓછી છે. રાજ્યમાં કોવિડ 19 દર્દીઓની સારવાર માટે 10 હજાર 500 બેડની સુવિધાઓ ઉપલબ્ધ છે. મેટ્રો સિટીમાં ચાર હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યની 31 પ્રાઇવેટ હોસ્પિટલમાં 3850 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે, જો જરૂર પડશે તો બેડની વ્યવસ્થામાં વધારો કરવામાં આવશે.

સાથે તેમણે કહ્યુ કે રાજ્યમાં હાલમાં એક લાખ 1 હજાર જેટલી પીપીઇ કીટ ઉપલબ્ધ છે.રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગની કેપેસિટી 3770 પર પહોંચી છે. રાજ્યમાં 36 હજાર 730 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે જ્યારે 32 હજાર 119 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. સરકારી ક્વોરેન્ટાઇનમાં 3565 લોકો સારવાર લઈ રહ્યા છે.