અમદાવાદ : રાજ્યના શિક્ષકોના 4200 ગ્રેડ પે મુદ્દે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઇ હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે બેઠક યોજાઇ હતી. શિક્ષકોએ આંદોલનની ચીમકી આપી છે. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે બેઠક યોજાઇ હતી જેમા શિક્ષણ વિભાગ ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ પણ શિક્ષણ સંઘો દ્વારા સરકારને 4200 ગ્રેડ પે મામલે રજુઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, મોંઘવારી ભથ્થા મામલે કર્મચારી મંડળએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં અટકાવી દેવાયેલા મોંઘવારી ભથ્થા રિલીઝ કરવા માંગ કરાઇ હતી. જાન્યુઆરીથી જૂન સુધીના ભથ્થા રિલીઝ કરવા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. આ પત્ર ગુજરાત કર્મચારી સંકલન સમિતિ દ્વારા પ્રધાનમંત્રી મોદીને મોકલવામાં આવ્યો છે.

4200 ગ્રેડ પે સમિતિનું પ્રતિનિધિ મંડળ કોંગ્રેસ ભવન પણ પહોંચ્યું હતું. કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને શિક્ષકોનું પરિનિધિ મંડળ મળ્યું હતું. શિક્ષકોએ પોતાની લડાઈમાં કોંગ્રેસ સાથ આપે તેવી માંગણી કરી છે. આગામી દિવસોમાં 4200 ગ્રેડ પેની માંગ કરનારા શિક્ષકો પરિવાર સાથે ઉપવાસ કરશે. રાજ્યના 33 જિલ્લાના 65 હજાર પરિવારો પોતાના ઘરે જ પ્રતીક ઉપવાસ કરશે.