ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં  આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓના અને પેંશનરોના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારો એક જૂલાઇથી લાગુ થશે અને તેનું એરિયર્સ ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવશે. આમ હવે કર્મચારીઓને 12 ટકાની જગ્યા 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે.


તે સિવાય પાક નુકસાનની રાહતથી વંચિત ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરતા નીતિન પટેલે કહ્યુ કે, નુકસાનની ઓનલાઇન નોંધણીની મુદ્દતમાં 14 દિવસનો વધારો કરાયો છે. ઉપરાંત ગોધરા, વેરાવળ, જામખંભાળીયા, બોટાદ અને મોરબીમાં બનશે નવી મેડિકલ કૉલેજ શરૂ કરવાનો રૂપાણી સરકારે નિર્ણય લીધો છે. તે સિવાય હાલમાં જ્યાં હોસ્પિટલો છે તે હોસ્પિટલોની પથારીમાં વધારો કરવામાં આવશે. હાલની હોસ્પિટલોને અપગ્રેડ કરી 300 બેડની હોસ્પિટલમાં કરવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાશે. જેની પાછળ રૂ. 1200 કરોડનો ખર્ચ થશે. જે અનુસાર આ ખર્ચમાં 60 હિસ્સો કેન્દ્ર સરકારનો અને 40 ટકા હિસ્સો રાજ્ય સરકાર ભોગવશે. હોસ્પિટલના નિર્માણની સાથે મેડિકલ સીટોમાં 500નો વધારો થશે.

વિરમગામમાં કેનાલનું પાણી 300 વિઘા ખેતરોમાં ઘૂસી ગયા મુદ્દે નીતિન પટેલે કહ્યુ કે, તે કેનાલ નથી કાચી વેણ છે. ખેડૂતોને પાણી આપવા માટે બનાવવામાં આવી હતી અને તેમાં વધુ પાણી આવી જવાથી ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે. મે આ મુદ્દે રિપોર્ટ મંગાવ્યો છે.