ગાંધીનગરઃ ભાજપમાંથી રાજીનામું આપીને ખળભળાટ મચાવનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંતે પાણીમાં બેસી ગયા છે. મંગળવારે રાજીનામું આપનારા મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા પછી રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. વસાવાએ રાજીનામું પરત ખેંચતા ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા અને ધારાસભ્ય છોટુ વસાવાએ કટાક્ષ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતાં લખ્યું છે કે, બાળક જીદ કરે ને રડવા બેસે તો 🍭લોલીપોપ🍭આપી ચૂપ કરી દેવાય.




મનસુખ વસાવાએ રાજીનામું પાછું ખેંચવા માટે વિચિત્ર કારણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલનું કહેવું છે કે, તમારા સ્વાસ્થ્ય માટે સરકાર ચિંતા કરશે અને તમે એમ.પી. (સાંસદ) તરીકે ચાલુ રહેશો તો સરકારી ખર્ચે બધી સારવાર થશે.

મનસુખ વસાવાએ કહ્યું કે, મેં રાજીનામું આપ્યું તે માટે સરકાર કે પક્ષ તરફથી મને કોઈ તકલીફ હોવાનું કારણ જવાબદાર નથી પણ મારી શારીરિક તકલીફનાં કારણે મે રાજીનામું આપ્યું હતું. સ્નેહીજનોનો આગ્રહ હતો કે તમે આરામ કરો એટલે મેં આરામ કરવા રાજીનામું આપેલું. હવે મને કેન્દ્રીય નેતૃત્વે કહ્યું છે કે તમે સાંસદ હશો તો વિના મૂલ્યે ફ્રીમાં તમારી સારવાર થશે એટલે મેં મારો નિર્ણય પાછો ખેંચી લીધો છે.