ગાંધીનગર: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા અને મહિલા ધારાસભ્યો સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હતા. અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂર અને વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના શાસનની ઝાંખી કરાવતી 100 ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. 

 

ભાઇ- બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ  રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ સમાજ વર્ગોની બહેનોએ  રક્ષા સૂત્ર રાખડી પ્રદાન કરી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મહિલા ધારાસભ્યો અને મહિલા પોલીસકર્મીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધીને દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે સદાય કર્તવ્યરત રહેવાની  શુભેચ્છાઓ પાઠવી હતી.

 

આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનની ઝાંખી કરાવતી  તૈયાર કરેલી 100 ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.

આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ભાજપ પ્રદેશ મહિલા મોરચાની ટીમ, બ્રહ્માકુમારી તેમજ અન્ય સંસ્થાની બહેનો, વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ, પ્રજ્ઞાચક્ષુ બહેનો, દિવ્યાંગ બહેનો સહિત  મોટી સંખ્યામાં બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધીને આ પાવન પર્વની ઉજવણી કરી હતી.

રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય

જ્યોતિષી અનીશ વ્યાસના મતે, 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધન માટે તમે સવારથી સાંજ સુધી રાખડી બાંધી શકો છો. પરંતુ જો તમે બપોરે 01:24 વાગ્યા સુધીમાં રાખડી બાંધો તો સારું રહેશે, કારણ કે આ પછી પૂર્ણિમાની તિથિ સમાપ્ત થશે. રાખડી બાંધવા માટે શ્રાવણ પૂર્ણિમા તિથિ શ્રેષ્ઠ માનવામાં આવે છે.