Gandhinagar:  વિધાનસભામાં જાહેર કરાયેલ લઘુત્તમ વેતનના અમલીકરણ માટે શ્રમ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. તમામ વિભાગો, બોર્ડ કોર્પોરેશન, આઉટસોર્સીંગ એજન્સીના કર્મચારીઓ માટે પત્ર લખી આદેશ કરવામાં આવ્યા છે. લઘુતમ વેતન ધારાનો અમલ નહી કરનાર એજન્સીના પેમેન્ટની ચુકવણી નહી થાય. આ ઉપરાંત 20થી વધુ કર્મચારીઓ હોય તો ફરજીયાત બેંક ખાતામાં વેતન આપવુ પડશે. 50થી વધુ કર્મચારીઓ હોય તો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવુ પડશે. રાજ્યમા વિધાનસભા ગૃહમાં પસાર થયેલ વેતન મુજબ જ મહેનતાણું ચુકવવું પડશે. મુળ પગાર, પીએફ, દૈનિક ખાસ ભથ્થુ, લઘુત્તમ વેતન, કામદાર રાજ્ય વિમા અધિનિયમ હેઠળ વિમો, બોનસ સહિતનો પગાર સ્લિપમાં સમાવેશ કરવાનો રહેશે. આઉટસોર્સીંગમા રહેલ કર્મચારી પાંચ વર્ષ પૂરા કરે તો વર્ષના 15 દિવસ લેખે ગ્રેજયુઈટી ચુકવવાની રહેશે.


તાજેતરમા ગુજરાત વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની ગૃહમાં જાહેરાત કરી હતી. કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ હસ્તકના વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોના વેતનમાં વધારો  કરવામાં આવ્યો છે. જે મુજબ  કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9887.80 મળતું હતું, જે હવેથી રૂ. 12324 મળશે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9653.80 મળતું હતું, જે હવેથી રૂ. 11986 મળશે, જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન રૂ. 9445.80 મળતું હતું જે હવેથી રૂ. 11,752 મળશે.


કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ સિવાયના વિસ્તારમાં કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9653.80 મળતું હતું જે હવેથી રૂ. 12012 મળશે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9445.80 મળતું હતું જે હવેથી રૂ. 11752 મળશે, જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન રૂ. 9237.80 મળતું હતું, જે હવેથી રૂ. 11466 મળશે.


શેરડી કાપણી - ભરણી વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોના લઘુત્તમ દરમાં 100 ટકાનો વધારો કરાયો છે. શેરડી કાપણી - ભરણી વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોને પહેલા લઘુત્તમ રૂ. 238 પ્રતિ ટન મળતું હતું જે હવેથી રૂ. 476 મળશે.


આ સમાજના યુવાનો દાઢી રાખશે તો થશે 51 હજારનો દંડ, લગ્નમાં ડીજે પર પણ પ્રતિબંધ


બનાસકાંઠાના ધાનેરામાં 54 ગામ ચૌધરી સમાજમાં સમાજ સુધારણા અને સમુહ લગ્ન બાબતે બેઠક યોજાઈ હતી. જેમાં ધાનેરા તાલુકામાં આંજણા સમાજના યુવાનોને દાઢી નહીં રાખવા ફરમાન કરવામાં આવ્યું છે. ઉપરાંત દાઢી રાખનારને 51 હજારના દંડની કરાઈ જોગવાઈ છે. 
ધાનેરાની ત્રિશી અને ચોવીસી સમાજના આગેવાનોએ અને યુવાનોની મિટિંગમાં સમાજમાં પ્રથમ સમૂહ લગ્ન કરવાનું આયોજન કરાયું. મરણ પ્રસંગમાં વ્યસનને તિલાંજલિ આપવી, નહીંતર એક લાખનો દંડ કરવામાં આવશે. આ ઉપરાંત ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવું અને પીરસવા માટે ભાડૂતી માણસ ન લાવવા અપીલ કરવામાં આવી. લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મૂકવો, જન્મદિવસે કેક પર મૂકવો પ્રતિબંધ, લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમિટમાં ફોડવા અને પત્રિકા સાદી છપાવવા ઠરાવ કરાયો છે.  વિવિધ 23 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે બેઠક યોજાઈ હતી.