Budget 2024: આજે નાણામંત્રી નિર્મલા સીતારામણે વચગાળાનું બજેટ રજુ કર્યું હતું. જેને લઈને વિવિધ રાજકીય નેતાઓએ તેમના પર પ્રતિક્રિયા આપી છે. આ કડીમાં ગુજરાતના સીએમ ભૂરેન્દ્ર પટેલે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે.


 






 લોકસભામાં રજુ થયેલુ આ વચગાળાનુ બજેટ સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી-સર્વસ્પર્શી બજેટ વડાપ્રધાનના વિકસિત ભારત @૨૦૪૭ ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને નવો વેગ અને ઊર્જા આપનારું છે તેમ તેમણે જણાવ્યુ છે.


મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટને આવકારતા પોતાની પ્રતિક્રીયા આપતા જણાવ્યુ કે આ બજેટમાં જાહેર કરાયેલ રૂરલ હાઉસિંગમાં ૨ કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે. એટલુ જ નહિ, સોલર રૂફટોપની નવી યોજનાથી ૧ કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને ખૂબ ફાયદો થશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.


મુખ્યમંત્રીએ જણાવ્યુ છે કે, આ બજેટ સમાજના ચાર પાયા નારી શક્તિ, યુવા શક્તિ, ખેડૂત અને ગરીબ વર્ગના સર્વાંગી વિકાસને વાચા આપતુ જનહિતકારી બજેટ છે. આશા વર્કર/આંગણવાડી વર્કરને આયુષ્યમાન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળે છે તેમ તેમણે જણાવ્યુ હતું. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો નવો યુગ શરૂ થયો છે ત્યારે આ ક્ષેત્રમાં નાણાકીય ફાળવણી વધારીને રૂ. ૧૧.૧૧ લાખ કરોડ કરવાથી આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણમાં તેજી આવશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો. 


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે ગિફ્ટ સિટીમાં મળતાં કેટલાક ટેક્ષ બેનિફિટની મુદત લંબાવવા માટેનો નાણામંત્રીએ કરેલો નિર્ણય આવકારદાયક છે.  વડાપ્રધાનના નેતૃત્વમાં દેશના આ અમૃતકાળને કર્તવ્યકાળ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતું આ પ્રગતિશીલ બજેટ આપવા માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાન, નાણામંત્રી અને કેન્દ્ર સરકારને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.