GANDHINAGAR : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પાંચ નગરપાલિકાઓના વિકાસ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. પાંચ નગરપાલિકાઓના વિવિધ વિકાસકાર્યો માટે 85 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જેમાં ધ્રાંગધ્રા, માણસા, કડી, વડનગર અને બાવળા નગરપાલિકામાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે તળાવ બ્યુટીફિકેશન, રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, ગાર્ડન, પાણીની લાઈન, પેવર બ્લોક જેવા વિકાસના કામો હાથ ધરવામાં આવશે.


1) ધ્રાંગધ્રાના માનસર તળાવ બ્યુટિફીકેશન માટે રૂપિયા 4.25 કરોડ મંજૂર 


2) માણસાના ચંન્દ્રાસર  તળાવ બ્યુટિફીકેશન માટે રૂપિયા 4.87 કરોડ મંજૂર


3) કડીમાં ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અંતર્ગત રૂપિયા 44.83 લાખના 9 કામો મંજૂર


4) વડનગરમાં 5051 ઘરોની ગટર લાઈન મુખ્ય લાઈન સાથે જોડવાના રૂપિયા 3.53  કરોડના કામો હાથ ધરાશે


5) બાવળા નગરપાલિકાની ભુગર્ભ ગટર યોજના માટે રૂપિયા 7.80  કરોડના કામોને મંજૂરી




પીએમ મોદી  27 અને 28 ઓગસ્ટે  ગુજરાત આવશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેને લઈને ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની મુલાકાત વધારી દીધી છે. હવે આ કડીમાં પીએમ મોદી ફરી એક વખત ગુજરાત આવશે. પીએમ મોદી 27 અને 28 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. પીએમ મોદી 27 ઓગસ્ટે અમદાવાદ અને 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેશે. 27મીએ અમદાવાદ નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ અને જનસભાને સંબોધન કરશે. આ ઉપરાંત 28મીએ પીએમ મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. ભુજ પહોંચી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અહીં એક જનસભાને સંબોધિત કરશે. આ સિવાય પીએમ મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનો પ્રારંભ કરાવવાના છે.


પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા માટે દોઢ લાખ ચો.મી. જગ્યા પર બે લાખ લોકો માટે ડોમ બનાવવામાં આવશે. આગામી 28 ઓગસ્ટના પીએમ ભુજ આવી રહ્યા છે ત્યારે રાજકીય, સરકારી, પ્રજાકીય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કચ્છ યુનિ.ના પાછળના નોન-યુઝ મેદાનમાં સુવિધા ઉભી કરવા રાત દિવસ કામ ચાલી રહ્યું છે. સ્મૃતિવનનું અર્થક્વેક મ્યુઝિયમ પૂર્ણ કરવા એજન્સી 24 કલાક દોઢસો કામદારો પાસે કામ કરાવી રહી છે. આ પ્રવાસ દરમિયાન અંદાજિત દસ હજાર કરોડના કામોનું લોકાર્પણ અને જાહેરાત કરશે.