GANDHINAGAR : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં ફેરબદલના મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ  ગુજરાતના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો પરત લેવાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાની પાસે રાખ્યાં બંને વિભાગો 
આ બન્ને મંત્રીઓના પરત લેવાયેલા વિભાગોની વાત કરીએ તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે   મહેસુલ અને માર્ગ અને મકાન વિભાગ પોતાની પાસે રાખ્યા છે, જયારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મહેસુલ રાજ્યમંત્રી તરીકેનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે તેમજ મંત્રી જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગના રાજ્યમંત્રીનો વધારાનો ચાર્જ આપાવમાં આવ્યો છે.


રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસે હવે ક્યાં વિભાગો? 
રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ વિભાગ પરત લેવાયા બાદ હવે તેમની પાસે આપત્તિ વ્યસ્થાપન, કાયદો અને ન્યાયતંત્ર તેમજ વૈધાનિક અને સંસદીય બાબતો આ ત્રણ વિભગાઓ રહ્યાં છે. 


પૂર્ણેશ મોદીની વાત કરીએ તો માર્ગ અને મકાન વિભાગ પરત લેવાયા બાદ પૂર્ણેશ મોદી પાસે વાહન વ્યવહાર, નાગરિક અને ઉડ્ડયન તેમજ પ્રવાસન અને યાત્રાધામ આ ત્રણ વિભાગો રહ્યાં છે. 


હર્ષ સંઘવી અને જગદીશ પંચાલનું કદ વધ્યું 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં હવે મંત્રી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલનું કદ વધ્યું છે. 


હર્ષ સંઘવીની વાત કરીએ તો તેમની પાસે ગૃહ મંત્રાલય, આપત્તિ વ્યવસ્થાપન અને પોલીસ આવાસનો રાજ્યમંત્રીનો હવાલો તેમજ  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, એનઆરઆઈ, આબકારી અને પ્રતિબંધ, સરહદ સુરક્ષાનો રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો હતો, હવે આમાં મહેસુલ વિભાગના રાજ્યમંત્રીનું પદ  પણ ઉમેરાયું છે. 


જગદીશ પંચાલની વાત કરીએ તો તેમની પાસે કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલનો સ્વતંત્ર હવાલો તેમજ ઉદ્યોગ, વન-પર્યાવરણ ણ ક્લાઈમેટ ચેન્જ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરીનો સ્વતંત્ર હવાલો હતો. હવે આમાં માર્ગ અને મકાનના રાજ્યમંત્રીનો વિભાગ પણ ઉમેરાયો છે.