Election 2024: ગુજરાતમાં ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ થઇ રહી છે, આજે સંભવ છે કે, લોકસભા ચૂંટણીની જાહેરાત થાય, પરંતુ આ પહેલા વિપક્ષી પાર્ટીઓ મેદાનમાં આવી છે અને નવી રણનીતિ પર ચર્ચા કરવા એકઠી થઇ છે. સુત્રો તરફથી માહિતી છે કે, આગામી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી આપ અને કોંગ્રેસ સંયુક્ત રીતે લડવા માંગે છે. આ અંતર્ગત આજે સાંજે રાજીવ ગાંધી ભવનમાં બન્ને પક્ષો એક સંયુક્ત બેઠક કરશે જેમાં આ અંગે ચર્ચા થશે. કહેવાઇ રહ્યું કે, આપ વિધાનસભા પેટાચૂંટણીમાં બે બેઠકો પર ઉમેદવારો ઉતારવા માંગે છે, અને લોકસભામાં પણ વધુ બે બેઠકોની માંગ છે. 


આજે ગુજરાતમાં AAP અને કૉંગ્રેસની સંયુક્ત બેઠક યોજાશે, રાજીવ ગાંધી ભવનમાં આજે AAP અને કૉંગ્રેસની આ સંયુક્ત બેઠક યોજાશે. શક્તિસિંહ ગોહિલ સાથે AAPના નેતાઓ બેઠક કરશે. જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા ઉપરાંત સાગર રબારી, મનોજ સોરઠીયા જેવા આપ નેતાઓ બેઠકમાં હાજર રહેશે. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં આ પ્રથમ બેઠક યોજાઇ રહી છે. વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા થશે. આજે સાંજે 4 વાગ્યે રાજીવ ગાંધી ભવનમાં બેઠક યોજાશે. 


ખાસ વાત છે કે, બન્ને પક્ષો વચ્ચે લોકસભા ચૂંટણીને લઈને પહેલાથી જ ગઠબંધન થઇ ચૂક્યુ છે. હવે વિધાનસભા પેટાચૂંટણી માટે ગઠબંધન થઇ શકે છે. સુત્રો અનુસાર, ગુજરાતમાં વિધાનસભાની બે બેઠક પર AAP ચૂંટણી લડવા માંગે છે, આપ વિસાવદર અને માણાવદર બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારવા માંગે છે. આ ઉપરાંત દાહોદ સહિત વધુ બે લોકસભાની બેઠકો પણ આપ લડવા માંગી રહ્યું છે. બેઠક બાદ AAP અને કૉંગ્રેસની યોજાશે સંયુક્ત પત્રકાર પરિષદ પણ યોજશે, જેમાં ખુલાસો થશે. સુત્રો અનુસાર, વિસાવદર અને માણાવદર બેઠક પર AAP ચૂંટણી લડવા માંગી રહ્યું છે. પેટાચૂંટણીની 6 પૈકી બે બેઠક પર AAP ચૂંટણી લડવા માગે છે. કૉંગ્રેસ સાથે સકારાત્મક ચર્ચા કરી લોકસભાની વધુ બે બેઠક લડવાની AAPની તૈયારી પુરેપુરી દેખાઇ રહી છે. 


લોકસભા ચૂંટણી પહેલા AAPને ઝટકો, આ અભિનેત્રીએ છોડી પાર્ટી   


અભિનેત્રી સંભાવના સેઠે આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણીના રાજીનામાની માહિતી આપતાં લખ્યું, આપણા દેશ માટે સેવા કરવા માટે ખૂબ જ ઉત્સાહ સાથે એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ હતી, પરંતુ તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે તમે કેટલા પણ સમજદારીથી નિર્ણય લો, તમે હજી પણ ખોટા હોઈ શકો છો... કારણ કે આખરે આપણે માણસ છીએ. મારી ભૂલનો અહેસાસ કરીને હું AAPમાંથી બહાર નીકળવાની સત્તાવાર જાહેરાત કરુ છું." જાણીતી ભોજપુરી ફિલ્મ અભિનેત્રી સંભવના સેઠે જાન્યુઆરી 2023માં આમ આદમી પાર્ટીની સદસ્યતા લીધી હતી. ત્યારે સંભાવના સેઠને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ દ્વારા પાર્ટીનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. પાર્ટીની સદસ્યતા લેતી વખતે સંભાવના સેઠે કહ્યું હતું કે તે લાંબા સમય પછી દિલ્હી આવી છે અને મીડિયાની સામે છે. 


ત્યારે આમ આદમી પાર્ટીના ખૂબ વખાણ કર્યા હતા


પાર્ટીમાં સામેલ થતાં જ સંભાવના સેઠે કહ્યું હતું કે હું લોકોને ડિપ્રેશનમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છું. હું 12 વર્ષ પહેલા આવી  હતી અને ત્યારે મેં સ્પિચ આપી હતી. મારી મુલાકાત  સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલ સાથે થઈ હતી. આમ આદમી પાર્ટી શું કામ કરી રહી છે તે કોઈને કહેવાની જરૂર નથી. હમણાં જ મેં જોયું કે આંખની સારવાર મફતમાં થાય છે. ફ્રી બોલવું ખૂબ જ સરળ છે, પરંતુ કરવું ખૂબ મુશ્કેલ છે.


સંભવના શેઠ દિલ્હીના રહેવાસી છે.


સંભવના સેઠ બિગ બોસની બે સીઝનમાં સામેલ થઈ ચૂકી છે. તે મૂળ દિલ્હીની છે. સંભવના સેઠે 400 થી વધુ ભોજપુરી ફિલ્મો અને 25 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.