અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી જે આવતીકાલે છેલ્લો દિવસ છે જોકે આ પહેલા ઘણાં રાજ્યોએ લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવી દીધું છે. ત્યારે ગુજરાતમાં લોકડાઉન વધારાશે કે નહીં તે અંગે આવતીકાલે મોટી જાહેરાત કરવામાં આવશે તેવું ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉનની સમયમર્યાદા વધારાશે કે નહીં તે અંગે આવતીકાલે જાહેરાત કરવામાં આવશે. 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી તેનો આવતીકાલે છેલ્લો દિવસ છે.

સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં લોકડાઉનની સમયમર્યાદા વધારવામાં આવશે. આ અંગે ગુજરાત સરકારે એક્શન પ્લાન પણ તૈયાર કરી દીધો છે. ગુજરાતની જનતાને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં જે જગ્યાએ કોરોનાના એક પણ કેસ નથી તેવા જિલ્લાઓમાં છૂટ મળી શકે છે જ્યારે ગુજરાતમાં જે હોટસ્પોટ અથવા સંક્રમણના કેસો વધારે છે તેવા વિસ્તારો કે જિલ્લાઓમાં લોકડાઉનની સ્થિતિ જ રહેશે.