ગાંધીનગરઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં 16 જાન્યુઆરીથી કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતની વિજય રૂપાણી સરકાર પણ કોરોનાના રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા સજ્જ છે. ઓક્સફર્ડ દ્વારા વિકસાવાયેલી અને પૂણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર થયેલી રસી કોવિશિલ્ડ આજે ગુજરાત આવશે.


રાજ્યમાં ગમે તે સમયે કોરોનાની રસીનો પહેલો જથ્થો આવી પહોંચશે એ જોતાં રસીકરણ માટે રાજ્ય સરકાર તૈયાર છે. ગુજરાત સરકારે રાજ્યમાં રસીકરણના કાર્યક્રમ માટે 6 રિજનલ સેન્ટર બનાવ્યાં છે. શક્યતા એવી છે કે, આ સેન્ટરો પર સૌથી પહેલાં રસીકરણ કરાશે અને પછી અન્ય જિલ્લામાં પહોંચાડાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં સેન્ટર બનાવાયા છે. આ મુખ્ય 6 સેન્ટર પરથી જિલ્લાઓમાં કોરોનાની રસી મોકલવામાં આવશે.