ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસ વધતા જ જાય છે. રાજ્ય સરકારે સોમવારે સવારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોનાવાયરસના ચેપના પોઝિટિવ કેસનો આંકડો 30 થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 13 કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં 6 કેસ નોંધાયા છે. અમદાવાદ અને વડોદરા પછી સુરત અને ગાંધીનગર આવે છે કે જ્યાં 4-4 કેસ નોંધાયા છે. રાજકોટ તથા કચ્છમાં એક-એક કેસ નોંધાયો છે.


રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તેના કારણે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને કચ્છ જિલ્લામાં લોકડાઉન જાહેર કરાયું છે. ગઈ કાલે ગાંધીનગર અને કચ્છમાં કોરોનાવાયરસના ચેપના કેસ મળતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર અને કચ્છને પણ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. આ પહેલાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં લોકડાઉન જાહેર થઈ ચૂક્યો છે. આ તમામ શહેરો 25 માર્ચ સુધી અંશતઃ બંધ રહેશે. દૂધ, દવાઓ શાકભાજી અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કશું નહીં મળે ને આ ચીજો સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.