ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના વધુ 19 કેસ સામે આવતાં આંકડો 165એ પહોંચ્યો છે. આજે નવા આવેલા 19 કેસોમાં સૌથી વધુ અમદાવાદના 13 કેસ સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 77એ પહોંચી છે. આ ઉપરાંત આજે પાટણમાં 3, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1 અને આણંદમાં એક કેસ સામે આવ્યા છે. આજે પાટણમાં વધુ ત્રણ કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. સિદ્ધપુરમાં પ્રથમ પોઝિટિવ કોરોના વાયરસના સંપર્કમાં આવેલ ત્રણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 21 વર્ષ , 48 વર્ષ અને 51 વર્ષની વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ત્રણેય દર્દી સિદ્ધપુરના નેદ્રા ગામના વતની છે. આ સાથે પાટણ જિલ્લામાં કુલ પાંચ પોઝિટિવ કેસ થયા છે. તમામ ઘારપુર આઇસોલેશન વોર્ડ માં સારવાર હેઠળ ખસેડાયા છે. પાટણના ત્રણ કેસ ઉપરાંત આણંદ, ભાવનગર અને સાબરકાંઠામાં એક એક કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, આજે 19 કેસ નવા આવતાં આંકડો 165એ પહોંચ્યો છે. હિંમતનગર અને આણંદમાં પોઝિટિવ કેસ આવતાં વધુ બે જિલ્લામાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. સાબરકાંઠા-આણંદ સાથે ગુજરાતના 16 જિલ્લામાં કોરોના પ્રવેશી ચૂક્યો છે. ગઈ કાલે સવારે ગુજરાતમાં 16 કેસ નોંધાયા હતા. આ પછી ગઈ કાલે બપોર બાદ સુરતમાં વધુ બે નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 146 પર પહોંચી હતી. સુરતમાં અત્યાર સુધીમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુઆકં 12 છે. અમદાવાદમાં 77 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં 17 પોઝિટિવ કેસ, ગાંધીનગરમાં 13,ભાવનગરમાં 14, વડોદરામાં 10, રાજકોટમાં 10, પાટણમાં 5, પોરબંદરમાં 3, ગીર સોમનાથ -કચ્છ અને મહેસાણા માં 2- 2 પોઝિટિવ કેસ, પંચમહાલ- છોટાઉદેપુર, સાબરકાંઠા, આણંદ અને જામનગરમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 18 હજાર 430 વાહન જપ્ત કરાયા છે. સુરત શહેરમાં સૌથી વધુ કડકાઈથી નિયમોનુ પાલન કરાવવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગના મતે અત્યાર સુધીમાં સુરતમાં 1 હજાર 538 ,અમદાવાદમાં 1 હજાર 282 અને અમરેલીમાં 1 હજાર 233 ગુના નોંધાયા છે.