ગાંધીનગર:ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના વધુ પાંચ કેસ આવતાં આંકડો 151એ પહોંચ્યો છે. આજે પાટણમાં વધુ ત્રણ કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. સિદ્ધપુરમાં પ્રથમ પોઝિટિવ કોરોના વાયરસના સંપર્કમાં આવેલ ત્રણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 21 વર્ષ , 48 વર્ષ અને 51 વર્ષની વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ત્રણેય દર્દી સિદ્ધપુરના નેદ્રા ગામના વતની છે. આ સાથે પાટણ જિલ્લામાં કુલ પાંચ પોઝિટિવ કેસ થયા છે. તમામ ઘારપુર આઇસોલેશન વોર્ડ માં સારવાર હેઠળ ખસેડાયા છે.


પાટણના ત્રણ કેસ ઉપરાંત ભાવનગર અને સાબરકાંઠામાં એક એક કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, આજે પાંચ કેસ નવા આવતાં આંકડો 151એ પહોંચ્યો છે. હિંમતનગરમાં પોઝિટિવ કેસ આવતાં વધુ એક જિલ્લામાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. સાબરકાંઠા સાથે ગુજરાતના 15 જિલ્લામાં કોરોના પ્રવેશી ચૂક્યો છે.



ગઈ કાલે સવારે ગુજરાતમાં 16 કેસ નોંધાયા હતા. આ પછી ગઈ કાલે બપોર બાદ સુરતમાં વધુ બે નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 146 પર પહોંચી હતી. સુરતમાં અત્યાર સુધીમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુઆકં 12 છે.

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ 64 કેસ અમદાવાદ છે. અમદાવાદમાં કોરોના સંકટ વચ્ચે રાહતરૂપ સમાચાર છે. 23 વર્ષીય યુવતીએ કોરોનાને મ્હાત આપી છે. આ યુવતી 16 દિવસથી SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને 22 જેટલા દર્દીઓએ મ્હાત આપી છે.



અમદાવાદમાં 64 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં 17 પોઝિટિવ કેસ, ગાંધીનગરમાં 13,ભાવનગરમાં 14,વડોદરામાં 10, રાજકોટમાં 10, પાટણમાં 5, પોરબંદરમાં 3, ગીર સોમનાથ -કચ્છ અને મહેસાણા માં 2- 2 પોઝિટિવ કેસ, પંચમહાલ- છોટાઉદેપુર, સાબરકાંઠા અને જામનગરમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 18 હજાર 430 વાહન જપ્ત કરાયા છે. સુરત શહેરમાં સૌથી વધુ કડકાઈથી નિયમોનુ પાલન કરાવવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગના મતે અત્યાર સુધીમાં સુરતમાં 1 હજાર 538 ,અમદાવાદમાં 1 હજાર 282 અને અમરેલીમાં 1 હજાર 233 ગુના નોંધાયા છે.