ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આજે પત્રકાર પરિષદ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વયના કોઈ પણ ઉમેદવારને ટિકિટ નહીં અપાઈ હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ભાજપ પ્રદેશ પાર્લેમેન્ટરી બોર્ડે નક્કી કર્યા પ્રમાણે, ત્રણ ટર્મ સુધી જીતનારા ભૂતપૂર્વ કોર્પોરેટરો અને નેતાઓના સગાંને પણ ટિકિટ નથી આપી.


ભાજપ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ નિયમ પાળીને 60 વર્ષથી મોટા સાંસદો અને ધારાસભ્યો, ત્રણ ટર્મથી જીતતા સાંસદો અને ધારાસભ્યો તેમજ નેતાઓનાં સગાંને ટિકિટ નહીં આપે એ સવાલના જવાબમાં C.R. પાટીલે કહ્યું કે, આ અંગે નિર્ણય ભાજપનું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ લેશે. ભાજપ પ્રદેશ પાર્લેમેન્ટરી બોર્ડ પાસે આ અંગે નિર્ણય લેવાની સત્તા નથી. ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ પાસે મ્યુનિસિપ કોર્પોરેશન્સ સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના નિયમ બનાવવાની સત્તા છે તેથી અમે 60 વર્ષથી મોટા સાંસદો અને ધારાસભ્યો, ત્રણ ટર્મથી જીતતા સાંસદો અને ધારાસભ્યો તેમજ નેતાઓનાં સગાંને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે.

આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત કરતાં પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે પત્રકાર પરીષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 576 બેઠકો માટે શિસ્તબદ્ધ રીતે ઉમેદવારી અંગે ચર્ચા કરવામાં આવી છે. આજ સાંજ સુધીમાં તબક્કાવાર મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ જાહર થશે. કાલે 12.30 વિજય મૂહુર્ત માં ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરશે.

તેમણે જણાવ્યું હતું કે, 50 ટકા મહિલા અને 50 ટકા પુરુષ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. સંગઠનમાં જવાબદાર આગેવાનોને રાજીનામું આપ્યા બાદ ટીકીટ આપવામાં આવશે અને સંગઠનમાં એ જગ્યા તાત્કાલિક ભરવામાં આવશે. ભાજપની યાદીમાં 60 વર્ષથી નીચેની ઉંમરના ઉમેદવારો હશે. ભાજપની યાદીમાં મોટા ભાગના યુવા ઉમેદવારો હશે. એક પણ માજી મેયરને ટિકિટ આપવામાં આવશે નહીં. તેમજ ઉમેદવારોને ઇ-મેલથી જાણ કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું.