ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શંકરસિંહ બાપુ ફરીથી કોંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ બની છે ત્યારે શંકરસિંહે ભાજપમાં જેમની ટિકિટ કપાઈ શકે છે એવા નેતાઓનો સંપર્ક શરૂ કર્યો છે. વાઘેલાએ ભાજપના પીઢ કોર્પોરેટર મયૂર દવેનો સંપર્ક કરીને તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.


વાઘેલાએ દવેને કહ્યું હતું કે, તમને મળીને સાથે ચા પીવાની ઈચ્છા છે. દવેએ તેમને જવાબ આપ્યો કે, ચૂંટણ પછી આપણે મળીશું ને સાથે જમીશું. આ માહિતી દવેએ પોતે આપી છે.

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે એવી અટકળો બે દિવસથી ચાલી રહી છે. બુધવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે શંકરસિંહ વાઘેલાએ બેઠક કરી હોવાની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. શંકરસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસમાં જોડાવનો સંકેત આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના અનેક આગેવાનો મને આવકારવા તૈયાર છે. હવે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આમંત્રણ આપશે તો દિલ્લી જઈશ. તેમણે એમ પણ કહ્યું હતું કે, મારી કોઈ શરત નથી.
કોંગ્રેસ તરફથી આવી કોઈ જ પ્રપોઝલ ન આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસમાં ફરી જોડાવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે અને તેમણે ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી એવાતને સૌ સમર્થન આપી રહ્યા છે. જો કે આ બેઠકમાં ભાજપને હરાવવા શંકરસિંહ બાપુએ સામેથી કોંગ્રેસમાં જોડાવાની ભરતસિંહ સમક્ષ લાગણી વ્યક્ત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે જણાવ્યું હતું કે, આ અંગે શંકરસિંહજી જાતે જ કહી શકે. અમારી પાસે આવી કોઈ માહિતી નથી. શંકરસિંહ કોંગ્રેસમાં આવતા હોય તો તેમનો વિષય છે. લોકશાહીમાં માથા ભેગા કરીને રાજકારણ કરાય.કોંગ્રેસમાં આ અંગે કોઈ ડિમાન્ડ આવી નથી. આવી કોઈ વાત આવશે તો હાઈકમાન્ડ વિચાર કરશે. હાઈકમાન્ડ જે નિર્ણય કરશે તે બધાને માન્ય રહેશે. આવી કોઈ પ્રપોઝલ ગુજરાત કોંગ્રેસ પાસે આવી નથી.