ગાંધીનગરઃ આલઆરડીની ભરતીમાં અનામતના વિવાદ મામલે સરકારને મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે આજે LRD ભરતી મુદ્દે વિવાદિત પરિપત્રની ગૂંચ ઉકેલવા બેઠક વધારવાનો નિર્ણય લીધો છે. બેઠક બાદ સરકારે જણાવ્યું હતું કે, એલઆરડીમાં હવે 5227 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. જેમાં 62.5 ગુણ ધરાવતી કોઇ પણ જ્ઞાતિની મહિલા ઉમેદવારોની ભરતી થશે. આ  ભરતીમાં જૂના પરિપત્રને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સામેલ થયા હતા.


બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે સરકારે આ વિવાદને ઉકેલવા માટે બેઠકો વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં  LRDની ભરતીમાં જૂના પરિપત્રને ધ્યાનમાં લેવાશે નહીં. જે ઉમેદવારે 62.5 ટકા માર્ક્સ મેળવ્યા છે તેમની ભરતી કરવામાં આવશે. લાયક ઉમેદવારોને માટે ગુણાંક 62.5 ટકા છે. નીતિન પટેલે કહ્યું કે, હવે જનરલ કેટેગરીમાં 421ના બદલે 834 જગ્યાઓ માટે ભરતી કરાશે. તે સિવાય ઓબીસીમાં 1834નાં બદલે 3248 જગ્યાઓ ,SC માં 346ના બદલે 588 અને  ST માં 476નાં બદલે 511 જગ્યાઓ માટે ભરતી કરાશે. નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારે હવે કોઇ સરકારી ભરતીની પ્રક્રિયા હાથ ધરશે નહી જ્યાં સુધી એક ઓગસ્ટ 2018ના પરિપત્રને લઇને કોર્ટનો અંતિમ નિર્ણય નહી આવે ત્યાં સુધી વધુ સરકારી ભરતી થશે નહીં.

એસસી એસટી અને ઓબીસીની મહિલાઓએ સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી હતી. અનામત વર્ગના મહિલ ઓએ પરિપત્રને રદ કરવાની માંગ સાથે આંદોલન ચાલુ રાખવાની વાત કરી હતી. નોંધનીય છે કે ઓગસ્ટ, 2018નો ઠરાવ રદ કરવાની માંગ સાથે  બિન અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહી છે. તો બીજી તરફ રદ ન કરવામાં આવે તેવી માંગ સાથે બિન અનામત વર્ગની મહિલાઓએ પણ આંદોલન પર ઉતરી છે.