Gujarat Congress Protest in Gujarat Assembly: ગુજરાતમાં વિધાનસભા સત્ર શરૂ થઇ ચૂક્યુ છે. શાસક અને વિપક્ષ કેટલાક મુદ્દાઓને લઇને આમને સામને છે, ત્યારે આજે કોંગ્રેસે વિરોધનો એક નવતર પ્રયોગ કર્યો હતો. ખરેખરમાં, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચિત બનેલા ખ્યાતિ હૉસ્પીટલ કાંડને લઇને કોંગ્રેસના ધારાસભ્યોએ આક્રમક વિરોધ કર્યો હતો, આ સમગ્ર વિરોધ કરવા માટે ધારાસભ્ય ડૉક્ટર અને દર્દીઓ બનીને નાટ્યાત્મક રજૂઆત કરી હતી. 


આજે ગાંધીનગર વિધાનસભાના પગથિયા પર કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યો દ્વારા ખ્યાતિ હૉસ્પીટલ કાંડ મુદ્દે એક 'નાટક' રજૂ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ રજૂઆતમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા અને ડૉ. તુષાર ચૌધરી ડૉક્ટર બન્યા હતા, જ્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દર્દી બન્યા હતા. દર્દી નીચે સૂઇ રહ્યાં હતા અને ડૉક્ટરો તેમને સારવાર આપી રહ્યાં હોય તેવા દ્રશ્યો સર્જવામાં આવ્યા હતા. 


ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચારનું રેકેટ ચાલે છે. કમિશન લેવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. આ ભાજપની સરકારમાં કમિશન માટે લોકોના જીવ લેવાયા છતાંય સરકારને શરમ આવતી નથી. દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવે , તેમને 1500 રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે. ખ્યાતિ હોસ્પિટલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવી જોઈએ અને તેની CBI તપાસ પણ થવી જોઈએ. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ બુધવારે (19 ફેબ્રુઆરી) વિધાનસભાના પ્રથમ દિવસે જ ગાંધીનગરમાં વિધાનસભાની બહાર દેખાવ કર્યો હતો. ધારાસભ્યોએ હથકડી અને સાંકળ લગાવીને અમેરિકાથી ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને પરત મોકલવાની પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હવે સરકારને ઘેરવા માટે આજે (22 ફેબ્રુઆરી) ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં થયેલા PMJY યોજનાના કાંડ મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. 


ખ્યાતિ હોસ્પિટલ કાંડ, 19 દર્દીઓના ખોટા ઓપરેશન કરાયા


વિધાનસભા ગૃહમાં ખ્ચાતિ હોસ્પિટલકાંડનો મુદ્દો ગુંજ્યો હતો. સરકારે સ્વીકાર કર્યો હતો કે ખ્યાતિ હોસ્પિટલે 19 દર્દીઓના ખોટા ઑપરેશન કર્યાનો સ્વીકાર કર્યો હતો. સરકારે સ્વીકાર કર્યો હતો કે ખોટા ઑપરેશન કરીને હોસ્પિટલે સહાય માંગી હતી. સરકારે કહ્યું હતું કે ગેરરીતિ જણાતા સરકારે સહાય ચૂકવી નથી. PM-JAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. મેનેજમેન્ટ અને ડૉક્ટર વિરૂદ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ડૉ. પ્રશાંત વજીરાણીને કાયમી ધોરણે બરતરફ કરાયા છે. મેડિકલ કાઉન્સિલે ડૉ. પ્રશાંત વજીરાણીને 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. હાલમાં ખ્યાતિ હોસ્પિટલમાં પોલીસ તપાસ ચાલી રહી છે.


આ પહેલા પણ હાથકડી પહેરી કર્યો હતો વિરોધ 
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ બુધવારે (19 ફેબ્રુઆરી) ગાંધીનગરમાં વિધાનસભાની બહાર દેખાવ કર્યો હતો. વિધાનસભામાં અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી અને શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસ ધારાસભ્યોએ કાળા રંગના પોસ્ટર પહેરી તેમાં વિવિધ નારા લખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સિવાય તેઓએ પોતાના હાથે હથકડી બાંધી હતી અને ડિપોર્ટેશન વખતે ભારતીયોને બાંધવામાં આવેલી હથકડીનો વિરોધ કર્યો હતો.


આ પણ વાંચો


Gandhinagar: ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વિધાનસભામાં સરકારનો સ્વીકાર, 19 દર્દીઓના ખોટા ઓપરેશન કરાયા