ગાંધીનગરઃ પૂર્વ ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો, પેન્શન આપવાની કરી માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Jan 2020 09:13 PM (IST)
પૂર્વ ધારાસભ્યોએ પેન્શન, મફત મેડીકલ સેવા તેમજ મફત મુસાફરીને લઈને વારંવાર રાજ્ય સરકારમાં રજૂઆત કરી છતાં કોઇ નિરાકરણ ના આવતા પૂર્વ ધારાસભ્યો એક દિવસના પ્રતીક ઉપવાસ કરશે.
ગાંધીનગરઃ પૂર્વ ધારાસભ્યો સરકારમાં અનેક રજૂઆતો કરી હોવા છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ ના આવતા 27 જાન્યુઆરીએ ગાંધીનગરમાં પ્રતીક ઉપવાસ કરશે. પૂર્વ ધારાસભ્યોએ પેન્શન, મફત મેડીકલ સેવા તેમજ મફત મુસાફરીને લઈને વારંવાર રાજ્ય સરકારમાં રજૂઆત કરી છતાં કોઇ નિરાકરણ ના આવતા પૂર્વ ધારાસભ્યો એક દિવસના પ્રતીક ઉપવાસ કરશે. આ મામલે એક્સ એમએલએ કાઉન્સિલનાં અધ્યક્ષ બાબુભાઈ શાહે કહ્યું કે, વિધાનસભામાં ગાંધીજી અથવા બાબા સાહેબની પ્રતિમા અથવા જો પણ મંજૂરી મળે ત્યાં અમે પ્રતીક ઉપવાસનું વિચારી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, તેમનો વિરોધ સરકાર સામેનો નથી પરંતુ પૂર્વ ધારાસભ્યોની વેદનાને વાચા આપવાનો છે. તમામ પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની અમારી માંગણી નથી પરંતુ 100 જેટલા પૂર્વ ધારાસભ્યો અત્યંત ગરીબીમાં જીવી રહ્યા છે જેને કારણે તેઓને પેન્શન અને મેડિકલ સુવિધા મફતમાં આપવામાં આવે. અમે ઘણા કાગળો લખ્યા છે પણ તેનો જવાબ નથી મળ્યો. શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ જેવા પુર્વ ધારાસભ્યો 27 મી એ અમારી સાથે જોડાય તે માટે આમંત્રણ આપીશું.