ગાંધીનગર: કલોલ જીઆઇડીસીમાં આવેલ એક ફાર્મા કંપનીમાં આગની ઘટના સામે આવી છે. ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગર ફાયરની બે ગાડીઓ કલોલ રવાના કરવામાં આવી છે. તો બીજી તરફ આ આગ ક્યા કારણે લાગી તેની માહિતી હજી સુધી સામે આવી નથી. અગમ્ય કારણોસર લાગેલી આગને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ સદનસીબે હાલના તબકે કોઈ જાનહાનીના સમાચાર નથી..


પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ


Ahmedabad : અમદાવાદમાં દિવાલને છાંયડે બેસેલા પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ ત્યાંની ઘટના સામે આવી છે. આ પિતા-પુત્રી ગરમીથી રાહત મેળવવા જે દિવાલને છાંયડે બેસેલા હતા એ જ દિવાલ તેમની માથે પડતા બંને પિતા-પુત્રીનું મૃત્યુ થયું  છે. અમદાવાદમાં અનુપમ બ્રિજ છેલ્લા કેટલાય વર્ષોથી બની રહ્યો છે,  ત્યારે આજે અનુપમ બ્રિજની બાજુમાં રોડની કામગીરી વખતે જેસીબીથી સલાટનગરની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ ધરાશાયી થતા દિવાલને છાંયડે બેસેલા પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ થયું છે. 


આજે 21  મે ના દિવસે બપોરના 03:41 વાગ્યે  આ ઘટના ઘટી. દિવાલ પડતા પિતા-પુત્રી દટાયા હતા. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં સારવાર દરમિયાન પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું.એલજી હોસ્પિટલની મુલાકાતે આવેલા મેયર કિરીટ પરમાર તેમજ ધારાસભ્ય શૈલેષ પરમારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે. 


દિવાલ ધરાશાયી થવાની આ ઘટનામાં અમદાવાદ મહાનગરપાલિકા મૃતકના પરિવારને બિલ્ડર પાસેથી સહાય અપાવશે. મળતી જાણકારી મુજબ AMC રણજીત બિલ્ડકોન પાસેથી 5-5 લાખની સહાય અપાવશે.જ્યાં દિવાલ ધરાશાયી થઇ ત્યાં રણજિત બીલકોન અને એસપેકેમ કંપની કામ કરે છે.બે મહિના પહેલા આ જ જગ્યા પર દિવાલ પડી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીં સુપરવિઝન વગર કામ થાય છે. અને અગાઉ બોપલ બ્રિજ પડવાની ઘટનામાં આ જ કંપની કામ કરતી હતી.કામમાં બેદરકારીના કારણે આ કંપનીને બ્લેક લિસ્ટ કરવા માંગ કરાઈ હતી. જોકે તેમ છતાં આ કંપનીને અનુપમ બ્રિજનું કામ અપાયું અને આજે આ દુઃખદ ઘટના બની.