ગાંધીનગર : રાજનીતિના ભીષ્મ પિતામહ કેશુબાપાના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો આગેવાનો, કાર્યકરોએ અંતિમ દર્શન કર્યા બાદ બાપાના પાર્થિવ દેહને તિરંગામા લપેટી સંપૂર્ણ રાજકિય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. ગાંધીનગરના સેક્ટર 30ના સ્મશાનગૃહમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.


આજે સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. કેશુબાપાનું 92 વર્ષની વયે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. સવારે પોણા અગિયાર આસપાસ તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમણે 11.55 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું નિધન થતા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં દુઃખની લાગણી ફરી વળી હતી.

કેશુભાઈ પટેલના નિધનને લઈ આજે એક દિવસનો રાજકીય શોક પાળવામાં આવ્યો છે. જેને કારણે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ કાર્યક્રમ રદ્દ કર્યા છે.