ગાંધીનગરઃ રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણને કારણે  18 એપ્રિલના રોજ યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)ની ચૂંટણી મોકૂફ રાખવા રાજ્ય ચૂંટણી પંચે સત્તાવાર આદેશ કર્યો હતો.  કોરોનાની સ્થિતિ સુધરે ત્યારબાદ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. રાજ્યમાં વણસી રહેલી કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ ચૂંટણી મોકૂફ રાખવા માટે રજૂઆત કરી હતી. આ સાથે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી મોકૂફ રાખવા માટે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી.


આ દરમિયાન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નંબર 9નાં આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર જયશ્રીબેન વાઘેલાનું કોરોનાથી મોત થયું છે. જયશ્રીબેન વાઘેલા ત્રણ દિવસ અગાઉ કોરોના સંક્રમિત થયા હતા. જેમનું ઓક્સિજન લેવલ નીચું આવી જતાં ગાંધીનગરની હોસ્પિટલોમાં તેમને દાખલ કરવા માટે તેમના પતિ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. પરંતુ હોસ્પિલોમાં જગ્યા ન હોવાના કારણે જયશ્રીબેનને સમયસર ગાંધીનગર ખાતે સારવાર મળી ન હતી.


કોર્પોરેશનની ચૂંટણીઓ જાહેર થત્તા આમ આદમી પાર્ટીએ તેમની કાર્ય પ્રલાણીની નોંધ લઈ વોર્ડ 9 નાં ઉમેદવાર તરીકે તેમને ટિકિટ આપી હતી. આ પહેલા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના બહુજન સમાજ પાર્ટીના વોર્ડ નંબર 8ના ઉમેદવારનું અવસાન થયું હતું.


ગાંધીનગર જિલ્લામાં કોરોનાથી સંક્રમિતોનો કુલ આંકડો 12336 પર પહોંચ્યો છે. 1331 વ્યક્તિઓ કોરોનાની સામે જંગ હારી ગઇ છે. વધુ 121 દર્દીઓ સાજા થતાં જિલ્લાની 9958 વ્યક્તિઓને કોરોનાને હરાવવામાં સફળતા મળી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા હતા.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે. રાજ્યમાં આજે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.


Coronavirus Cases India:  સતત પાંચમા દિવસે કોરોનાના કેસ ત્રણ લાખને પાર, કુલ મૃત્યુઆંક બે લાખ નજીક


બાઇડેને ફેરવી તોળ્યું, ભારતને રસી માટે કાચો માલ આપવા તૈયાર થયું અમેરિકા