Gandhinagar: ગાંધીનગરના લિહોડામાં બે વ્યક્તિના શંકાસ્પદ મોત થયા હતા. જ્યારે અન્ય આઠ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે લઠ્ઠાકાંડની આશંકાએ તપાસ શરૂ કરી હતી. મૃતકોની ઓળખ 42 વર્ષીય કાનજી ઉમેદ સિંહ અને 36 વર્ષીય વિક્રમસિંહ રંગતસિંહ તરીકે થઇ છે. જ્યારે અન્ય આઠ લોકો ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે. ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસે લઠ્ઠાકાંડની આશંકાએ તપાસ હાથ ધરી હતી.





એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં લિહોડા ગામના સરપંચ અજીતસિંહે કહ્યુ હતું કે બે લોકોના મોત થયા છે અને હજુ પણ એક વ્યક્તિની હાલત ગંભીર છે. સરપંચે કબૂલાત કરી હતી કે મૃતકો દારૂ પીવાની લત ધરાવતા હતા પણ ગામમાં દારૂ મળતો નથી. ઉત્તરાયણના દિવસે જ નહીં નિયમિત પણે દારૂ પીવાના વ્યસની હતા. ગામમાં ઘટનાના પગલે બે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. કાનજી ઉમેદસિંહ ઝાલા અને વિક્રમ રંગતસિંહ નામના બે લોકોના મોત થયા છે. સરપંચે સ્વીકાર કર્યો હતો કે ગામમા કુલ 2400 થી 3000 ની વસ્તી છે.


લિહોડા ગામના મૃતક વિક્રમના ઘર પર એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. 36 વર્ષીય વિક્રમસિંહની દારૂની લતના કારણે બે બાળકોએ પિતા ગુમાવ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતદેહ પરિવારજનોને સોંપાયા હતા. મૃતક વિક્રમસિંહના પિતા રંગતસિંહે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના પુત્રને પીવાની આદત હતી પણ ક્યાંથી પીધું તે અંગે તેઓ અજાણ છે. તેમણે કહ્યું કે અમે ખેતરે ગયા હતા અને સાંજે 5 કલાકે વિક્રમની તબિયત લથડી હતી. પરત આવતા તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. પરિવારમાં ત્રણ ભાઈઓ છે અને વિક્રમને બે પુત્રો છે.


આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મિથેનોલ આવ્યું નથી. FLSના રિપોર્ટ મુજબ મિથેનોલ મૃત્યુનું કારણ નથી. સૂત્રોએ કહ્યું હતું કે કોઈ ઝેરી પદાર્થ ખાવા કે પીવાથી મોત થયાની આશંકા છે.


ગાંધીનગરના દહેગામના પનાના મુવાડા ગામમાં કાનજી ઝાલાના મોત બાદ ગામના સરપંચ અને પિતરાઈ ભાઈ માનસિંહ ઝાલાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ગંભીર આક્ષેપો કર્યા હતા.  તેમણે કહ્યું હતું કે કાનજીએ ઉત્તરાયણના દિવસે દેશી દારૂ પીધો હતો. પીધા બાદ તબિયત લથડી હતી અને મોઢામાં ફીણ આવ્યા હતા. સરપંચે પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે મોટા મુવાડા, નાગજીના મુવાડા, કડુજીના મુવાડા સ્થળોએ દારૂના અડ્ડા ચાલે છે. અમે જાણ કરી હતી છતાં પોલીસે પગલા ભર્યા નહોતા. બીટ જમાદારને અનેક રજૂઆત કરી છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. ગામમાં પહેલા પણ એક બે મોત થતા હતા પણ સામાન્ય લાગતું હતું પરંતુ એક સાથે બે લોકોના મોત થયા અને ચાર લોકોની તબિયત ખરાબ છે એટલે મામલો સામે આવ્યો છે. સરપંચ તરીકે પોતે અડ્ડા પર જઈને કહ્યું હતું તો જવાબ મળતો હતો કે  અમારા હપ્તા ચાલે છે.