Gandhinagar:રાજ્યમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનામાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. સૌથી વધુ દાહોદમાં ચાર  લોકોના મોત થયા હતા. ભરૂચ અને બનાસકાંઠા જિલ્લામાં 3-3, તાપી જિલ્લામાં 2 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત અમરેલી, સુરેંદ્રનગર, મહેસાણા, બોટાદ, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, દ્વારકા, આણંદ, પાટણ અને અમદાવાદમાં પણ વીજળી પડવાના કારણે એક-એકનું મોત થયું હતું. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય ચૂકવવાનો નિર્ણય લીધો હતો. કુદરતી આફતમાં થતાં માનવ મૃત્યુના નિયમોનુસાર સરકાર સહાય ચૂકવશે.વીજળી પડવાથી થયેલ પશુઓના મૃત્યુની પણ સરકાર દ્ધારા સહાય ચૂકવવામાં આવશે.  


વીજળીના કારણે મોતને ભેટેલા વ્યક્તિના પરિવારને સરકાર 4 લાખ રૂપિયાની સહાય ચૂકવશે. કુદરતી આફતમાં થતાં માનવ મૃત્યુના નિયમોનુસાર સરકાર સહાય ચૂકવશે. વીજળી પડવાથી પશુના મૃત્યુ બદલ પણ સરકાર સહાય ચૂકવશે.રવિવારે સવારના 6 કલાકથી સોમવાર સવારના 6 કલાક સુધી 24 માનવ મૃત્યુ નોંધાયા હતા.              



છેલ્લા 24 કલાકમાં 23 લોકોને વિવિધ કારણોસર ઇજા પહોંચી હતી. છેલ્લા 24 કલાકમાં કમોસમી વરસાદી વાતાવરણમાં વીજળી પડવાથી 71 પશુઓના મૃત્યુ થયા છે. આણંદના પેટલાકના બાંધણી ગામમાં વીજળી પડતા એક 17 વર્ષીય કિશોરનું મૃત્યું થયું હતું. વીજળી પડતા મયંક બદ્રીનાથ ચૌધરીનું મોત થયું હતું. કિશોર ગઈકાલે ઘરની ઓસરીમાં હતો ત્યારે વીજળી પડી હતી. ગંભીર રીતે ઘવાયેલ કિશોરને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન કિશોરનું મોત થયું હતું. કિશોર મૂળ રાજસ્થાનનો હતો.


દાહોદના દેવગઢ બારીયા તાલુકાના વાંદર ગામે વીજળી પડતા એકનું મોત થયું હતું. ગાજવીજ સાથે ગઈ સાંજે વરસાદ શરૂ થતા ઝાડ નીચે ઉભા રહેલા બાબુભાઈ બારીયા પર વીજળી પડતા ઘટના સ્થળે તેઓનું મોત થયું હતું. પંચમહાલના કાલોલ તાલુકાના ડેરોલ ગામે વીજળી પડતાં દાઝી જતાં ખેડૂત યુવકનુ મોત થયું હતું. ખેતરમાં કામ કરતા સમયે 45 વર્ષનાં યોગેશભાઈ પટેલ નામના યુવક પર વીજળી પડી હતી. વીજળી તૂટી પડતાં યોગેશ કુમાર રમેશભાઈ પટેલ ગંભીર રીતે દાઝી ગયા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.


હવામાન વિભાગના મતે કમોસમી વરસાદને લઈ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું. રાજ્યનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં 44 તાલુકાઓમાં તો એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.