Gandhinagar News: રાજ્યમાં ફરી એકવાર ચૂંટણી પહેલા આંદોલનો સામે આવશે, હાલમાં જ રાજ્યના સરકારી કર્મચારીઓએ પોતાના વણઉકેલ્યા અને પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે બાંયો ચઢાવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓએ આંદોલન અને બાદમાં ધરણા માટેનો તબક્કાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે, આ અંતર્ગત આગામી 14મી ફેબ્રુઆરીથી આંદોલનો શરૂ થઇ જશે, જે બાદમાં ગાંધીનગરમાં ધરણાં સુધી પહોંચશે.


લોકસભાં ચૂંટણી પહેલા ફરી એકવાર સરકાર સામે પડકારો સામે આવ્યા છે. રાજ્યના સરકારી કર્મચારીઓએ જ સરકાર સામે બાંયો ચઢાવી છે. રાજ્યના સરકારી કર્મીઓના વણઉકેલાયેલા અને પડતર પ્રશ્નોને લઇને આગામી 14મી ફેબ્રુઆરીથી આંદોલનો શરૂ થઇ જશે. આ આંદોલનને ગુજરાત શૈક્ષણિક સંઘના સમર્થનનો દાવો હોવાનું પણ સામે આવ્યું છે. આ આંદોલનના ભાગરૂપે આગામી 23 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં ધરણાં કાર્યક્રમ પણ યોજશે.


ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આ કાર્યક્રમ યોજાશે, રાજ્યભરના કર્મચારીઓના મુખ્ય બે પડતર પ્રશ્નો અંગે હજી સુધી કોઈ હકારાત્મક ઉકેલ ના આવતા આંદોલનનો તબક્કાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તારીખ 14 અને 15 ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે, જ્યારે 16 ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યના કર્મચારીઓ કાળા કપડાં પહેરીને ફરજ બજાવશે. જો તેમ છતાં ઉકેલ નહીં આવે તો આગામી 23મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમ બપોરના 12 વાગ્યાથી શરૂ કરાશે.