Gandhinagar News: રાજ્યમાં વડોદરા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને લઈ રાહત કમિશનર આલોક પાંડેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી દ્વારા દર બે કલાકે માહિતી માંગી વિગતો મેળવી રહ્યા છે.


સીઝનનો ૫૧ ટકા વરસાદ

ચોમાસું સીઝનનો ૫૧ ટકા વરસાદ થયો છે. સીઝનમા ૭૩ તાલુકામાં ૫૦૦ એમએમ કરતા વધુ વરસાદ થયો છે. આજે રાજ્યમાં આણંદના બોરસદમાં સૌથી વધુ  વરસાદ છે, જ્યારે તીલકવાડા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.


૫૧ ડેમ હાઈ એલર્ટ પર


સરદાર સરોવર ડેમ ૫૪ ટકા ભરાયો છે. ૨૦૬ માંથી ૪૬ ડેમ ઓવરફ્લો થયો છે. ૫૧ ડેમ હાઈ એલર્ટ પર છે.
રાજ્યમાં ૧૦ નદીઓ માં પૂરની સ્થિતિ છે. ૩ તળાવ ઓવર ફ્લો થયો છે.


છેલ્લા ૨૪ કલાકમાં ૮ લોકોના મૃત્યુ

રાજ્યમાં ૨૧૫ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને ૮૦૦થી વધુ ને શિફ્ટ કરાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮ લોકોના મૃત્યુ થયા છે. કુલ ૬૧ માનવ મૃત્યુ સીઝનમાં નોંધાયા છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈ ૧૩ એનડીઆરએફની ટીમ ડિપ્લોય છે, એસડીઆરએફની ૨૦ ટીમ ડિપ્લોય છે અને એનડીઆરએફની ૨ ટીમ રીઝર્વ છે. ૨૫૩ ગામોમાં વીજળી નથી. જ્યારે ૨૨૫ ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવા કામગીરી ચાલુ છે.


રાજ્યમાં કેટલા રસ્તા છે બંધ

 રાજ્યમાં સ્ટેટ હાઈવે ૧૭ બંધ છે, ૪૨ અન્ય તથા ૬૦૭ પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. કુલ ૬૬૬ રસ્તાઓ બંધ છે. આવતીકાલે સૌરાષ્ટ્રના ૨ તો દક્ષિણ ગુજરાત ના ૫ જિલ્લા માં રેડ એલર્ટ રહેશે. ગઈકાલે દ્વારકામાં એરલિફ્ટ કરાયા હતા, આજે સુરતના લુહાર ગામમાં એરલિફ્ટ કરવા માટે સુચના અપાઈ છે.


કૃષિ નુકશાનીનો સર્વે ક્યારે થશે


રાહત કમિશ્નરે કહ્યું, કૃષિમાં નુકશાની બાબતે હાલ પાણી ભરાયેલા છે માટે સર્વે નથી થઈ રહ્યો, વરસાદ ઘટ્યા બાદ સર્વે થઈ શકશે.


હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી બે દિવસ અતિભારે વરસાદ પડશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત,  તાપી, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 16થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ છવાયેલો રહેશે