Gandhinagar: ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓને મળવા મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. મંત્રીને મળવા આવતા મુલાકાતીઓના મોબાઈલ પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. જેથી હવે મુલાકાતીઓએ મંત્રીઓની મુલાકાત પહેલા મોબાઈલ બહાર મૂકવો પડશે. સોમવાર અને મંગળવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંત્રીઓને મળવા માટે આવતા હોય છે. પહેલા મુલાકાતીઓ પોતાનો મોબાઈલ લઈને મંત્રી સાથે મુલાકાત કરી શકતા હતા. કોઈ પણ પ્રકારનું રેકોર્ડિંગ ન થાય તે માટે મુલાકાતીઓને મુલાકાત દરમિયાન ફોન બહાર મુકવાવની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આગામી સમયમાં આ નિયમનો અમલવારી કેવી રીતે કરવી તેની વિચારણા ચાલી રહી છે.


કોવિડ ટાસ્ક ફોર્સ કમિટિના સભ્યએ શું કહ્યું ?


કોરોનાને લઈને ડરવાની નહીં પણ સતર્ક રહેવાની તબીબે સલાહ આપી છે... કોરોનાના નવા વેરિયન્ટ અંગે એબીપી અસ્મિતાએ કોવિડ ટાસ્ક ફોર્સ કમિટિના સભ્ય અને કાર્ડિયાક તથા પલમોનોલોજીસ્ટ ડૉ. પાર્થિવ મહેતા સાથે વાતચીત કરી. ડૉ. પાર્થિવ મહેતાએ કહ્યું કે વાયરસ સતત પોતાનું રૂપ બદલી રહ્યો છે અને વાતાવરણ વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. આપણી પાસે જીનોમ સિક્વન્સીંગ એડવાન્સ છે અને ડેટા પણ વધારે છે. 90 ટકા લોકો વેક્સિનેટ થયેલા છે અથવા એન્ટી બોડી ડેવલપ થઈ ચૂકી છે. જોકે હેન્ડ વૉશ, માસ્ક અને સોશલ ડિસ્ટંસ જાળવવું જરૂરી હોવા પર ભાર મૂક્યો હતો. ભારત અને ગુજરાતમાં ઓમિક્રોનની લહેર આવી હતી એ હવે ચીનમાં જોવા મળી રહી છે... તો તબીબે હાલના સમયમાં વેક્સિનનો બુસ્ટર ડોઝને હિતાવહ ગણાવ્યો.


કોરોનાની આશંકા વચ્ચે રાજ્યની હોસ્પિટલો સજ્જ, અમદાવાદ, રાજકોટ, સુરત સિવિલમાં શરૂ કરાયા કોવિડ વોર્ડ


ફરી એકવાર કોરોના સંક્રમણની આશંકા વચ્ચે રાજ્યની હોસ્પિટલો સજ્જ થઈ રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યારથી જ કોવિડ વૉર્ડ કાર્યરત કરી દેવાયો છે. હાલ પ્રાથમિક તબક્કામાં 56 બેડનો કૉવિડ વૉર્ડ તૈયાર કરાયો છે. જે પૈકી શંકાસ્પદ અને પોઝિટિવ દર્દી માટે 20-20 બેડ જ્યારે 16 ICU બેડ કાર્યરત કરાયા છે. હાલ કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે. જોકે સાવચેતીના ભાગરૂપે પ્રશાસને કોવિડ વૉર્ડ ઉપરાંત જરૂરી દવાઓનો સ્ટોક કરી લેવાયો છે, તો હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ કરી દેવાયા છે. આ તરફ વડોદરા મહાપાલિકાનું આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું. શહેરની ગોત્રી ખાતે આવેલી GMERS હોસ્પિટલમાં 10 બેડનો કૉવિડ વૉર્ડ કાર્યરત કરી દેવાયો તો આવનારા દિવસોમાં 70થી 100 બેડનો કૉવિડ વૉર્ડ શરૂ કરાશે.... આ ઉપરાંત ગોત્રી હોસ્પિટલ્સ ખાતે 10 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાયા છે.જે પૈકી આઠ પ્લાન્ટ કાર્યરત છે, જ્યારે બે પ્લાન્ટ મેઈન્ટેનન્સ હેઠળ છે. હાલ આરોગ્ય વિભાગે ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં કોવિડના ટેસ્ટિંગ અને બુસ્ટર ડોઝ આપવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. ભાવનગર મહાપાલિકાના કમિશનર વી.એન. ઉપાધ્યાય અને સિવિલ સર્જન બ્રહ્મભટ્ટ આજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત કરી. ભાવનગર સિવિલમાં દર મિનિટે 2 હજાર લીટર ઓક્સિજન ઉત્પન્ન કરતો ઓક્સિજન પ્લાન્ટ છે તો દૈનિક કોરોના ટેસ્ટિંગની સંખ્યા 500થી વધારીને 1 હજાર કરવાની સૂચના આપી છે. કોરોનાના સંક્રમણની ભીતિ વચ્ચે બનાસકાંઠામાં જિલ્લામાં બેદરકારી સામે આવી. વડગામ તાલુકાના છાપીમાં આવેલો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો. ઓક્સિજન પ્લાન્ટ આસપાસ હાલ ઘાસચારો ઉગી નીકળ્યો છે...જોકે રાહતના સમાચાર એ પણ છે કે વડગામ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત જોવા મળ્યો.


 કોરોનાના નવા વેરિયંટની દહેશત વચ્ચે સુરત મહાપાલિકાનું પ્રશાસન સફાળુ જાગ્યું. સુરત મનપાના રાંદેર ઝોનમાં ડેપ્યુટી કમિશનર આશિષ નાયકની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ તથા નિષ્ણાંત તબીબોની બેઠક બોલાવાઈ. જેમાં અડાજણ, પાલ, વેસુ અને પાંડેસરામાં 50-50 બેડની ચાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી. તો હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, જરૂરી દવા અને ઈંજેકશનનો જથ્થો ઉપલબ્ધ કરવાના પણ આદેશ અપાયા, તો આરોગ્ય વિભાગને ફરીથી કોરોના ટેસ્ટિંગ પર ભાર મૂકવા તાકિદ કરવામાં આવી.