ગાંધીનગરઃ દેહગામના બારડોલી કોઠીમાં યુવતીની માથામાં પથ્થરના ઘા મારીને હત્યા કરનારા આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. થોડા દિવસ પહેલા ઘમીજ રોડ પર આવેલ નર્મદા કેનાલમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતક નિમિષાબેન દિનેશભાઇ રાઠોડને તેમની નણંદ અંજનાબેન રાઠોડે સોપારી આપી હત્યા કરાવી નાંખી હોવાનું સામે આવ્યું છે. જોકે, હત્યા કેમ કરાવી નાંખી તે તપાસ પછી બહાર આવશે.


તસવીરઃ પોલીસ કસ્ટડીમાં ભાભીની હત્યા કરાવનાર નણંદ અંજનાબેન રાઠોડ અને ઘરઘાટી રાજેશ મનહરભાઈ ડોડીયા.

ઘરઘાટી રાજેશ મનહરભાઈ ડોડીયાને 50 હજાર રૂપિયા આપવાનું જણાવી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ઘરઘાટીએ મૃતકને હાઈ બ્લડપ્રેશરની ગોળીઓ પાણીમાં પીવડાવી બેભાન કરી કેનાલમાં ફેંકી દેવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે મૃતક બેભાન નહીં થતા પથ્થરના ઘા મારી મૃત્યુ નિપજાવી કેનાલમાં લાશ ફેંકી દીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

મૃતક મહિલા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્વીપર તરીકે ફરજ બજાવતા હતા. એલસીબીએ આરોપીઓને દહેગામ પોલીસને સોંપતા કેસની વધુ કાર્યવાહી દહેગામ પોલીસે હાથ ધરી છે.